હિંમતનગર ખાતે 13 તારીખે ખેડૂતો નું મહા સંમેલન યોજાશે ખેડૂતોએ આપી ચીમકી
વાવ થરાદ,બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ની ચિંતિત બેઠક મળી બટાકાની કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કંપનીઓ સામે ખેડૂતોનો વિરોધ
પ્રતિનિધિ – દિયોદર ફોટો છે અહેવાલ કલ્પેશ બારોટ
દિયોદર ધનકવાડા ગામે બેઠકમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા

વાવ-થરાદ જિલ્લાના દિયોદર તાલુકાના ધનકવાડા ખાતે આવેલા હિંગળાજ માતાના મંદિરે વાવ-થરાદ અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની એક મહત્વપૂર્ણ ચિંતન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બનાસકાંઠા, વાવ-થરાદ અને સાબરકાંઠા જિલ્લાના બટાટાનું વાવેતર કરતા ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ખેડૂતોએ બટાટાની કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરતી કંપનીઓ સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. દર વર્ષે ખેડૂતો કંપનીઓ સાથે કરાર કરીને મોટા પ્રમાણમાં બટાટાનું વાવેતર કરે છે. પરંતુ કંપનીઓ દ્વારા પોષણક્ષમ ભાવ ન અપાતો હોવાનો, સીડના ભાવમાં મનફાવે તેવો વધારો કરાતો હોવાનો અને લોડિંગ ખર્ચ ખેડૂતો પર નાખવામાં આવતો હોવાનો આક્ષેપ ખેડૂતોએ કર્યો હતો.
વધુમાં, બટાટામાં બ્રાઉન સ્પોટ જેવી સમસ્યા આવે તો કંપનીઓ ખેડૂતોનો તૈયાર માલ ખરીદવાનો ઇન્કાર કરી દે છે, જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડે છે. આ તમામ મુદ્દાઓને લઈને આજે આ ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે આવનારા દિવસોમાં હિંમતનગર ખાતે ઉત્તર ગુજરાતના બટાટા પકવતા ખેડૂતોનું મહાસંમેલન યોજવામાં આવશે. જો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કંપનીઓ ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય નહીં લે તો આગામી સમયમાં વાવ-થરાદ અને બનાસકાંઠાના ખેડૂતો કંપનીઓના બિયારણનો સંપૂર્ણ બહિષ્કાર કરશે અને ઉગ્ર આંદોલન કરશે હાલ કંપનીઓ દ્વારા યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો લાલઘૂમ થયા છે અને બંને જિલ્લામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
ખેડૂતોની મુખ્ય માંગણીઓ:
1. બટાટાના પાકને પોષણક્ષમ ભાવ આપવામાં આવે.
2. બિયારણ (સીડ)ના ખર્ચમાં ઘટાડો કરવામાં આવે.
3. લોડિંગ સહિતના વધારાના ખર્ચ ખેડૂતો પર ન નાખવામાં આવે.
4. બ્રાઉન સ્પોટ જેવી સમસ્યામાં ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવે.






