તા.૧૦/૧૦/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
જમીનની જળસંગ્રહ ક્ષમતા વધારીને પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્યનું રક્ષણ કરતી પ્રાકૃતિક કૃષિ
રાજ્યપાલશ્રી અને ગુજરાત સરકારના ભગીરથ પ્રયાસોથી લાખો ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા
આલેખન- હેમાલી ભટ્ટ
Rajkot: દાયકાઓ પહેલાં જ્યારે ‘હરિયાળી ક્રાંતિ‘ આવી, ત્યારે રાસાયણિક ખાતરો અને કીટનાશકોએ ખેતરોમાં ઉત્પાદનનો વિસ્ફોટ કર્યો. પરંતુ સમય જતાં એ જ રાસાયણિક કૃષિએ આપણી ધરતી માતાના શ્વાસ રુંધી નાખ્યા. જમીનની ફળદ્રુપતા ઘટી અને ભૂગર્ભ જળ દૂષિત થયા. રાસાયણિક ખાતરોથી પકવેલા ઉત્પાદનો દ્વારા અસાધ્ય રોગો આપણા સુધી પહોંચી રહ્યા છે. આ ગંભીર પરિસ્થિતિનો સામનો કરવા એકમાત્ર ક્રાંતિકારી વિકલ્પ “પ્રાકૃતિક કૃષિ” છે, જે પ્રકૃતિ સાથે સુમેળ સાધીને જીવવાની ઉત્તમ જીવનશૈલી છે. આ અભિયાનને આજે ગુજરાતમાં એક વિશાળ લોકચળવળનું સ્વરૂપ મળ્યું છે.
ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના પ્રેરણાદાયી નેતૃત્વ અને ગુજરાત સરકારના ભગીરથ પ્રયાસોથી રાજ્ય આજે સમગ્ર દેશમાં પ્રાકૃતિક ખેતીનું રોલ મોડેલ બન્યું છે. રાજ્યપાલશ્રી પોતે ગામડે-ગામડે ફરીને ખેડૂતોને દેશી ગાય આધારિત ખેતી, જીવામૃત અને મલ્ચિંગનું પ્રત્યક્ષ માર્ગદર્શન આપી રહ્યા છે. સાથે જ, ગુજરાત સરકાર દ્વારા દેશી ગાયના નિભાવ માટે આર્થિક સહાય, જીવામૃત કિટ્સ, મોડેલ ફાર્મ દ્વારા તાલીમ અને ઉત્પાદનોના વેચાણ માટે વિશેષ બજાર વ્યવસ્થા પૂરી પાડીને ખેડૂતોને આ ક્ષેત્રે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્
પ્રાકૃતિક કૃષિના મૂળભૂત ચાર સ્તંભો જમીન અને પાકને નવું જીવન આપે છે. દેશી ગાયના છાણ અને મૂત્રમાંથી બનતું ‘જીવામૃત’ જમીનમાં અબજો સૂક્ષ્મ જીવાણુઓ ઉત્પન્ન કરે છે, જ્યારે ‘બીજામૃત’ બીજને કુદરતી રીતે રોગમુક્ત કરે છે. આ ઉપરાંત, ખેતરમાં પાકના અવશેષોનું ‘આચ્છાદન’ (મલ્ચિંગ) કરવાથી જમીનમાં ભેજ જળવાય છે અને અળસિયાંનો ઉપદ્રવ વધે છે, તેમજ ‘વાપસા’ સ્થિતિ દ્વારા છોડના મૂળિયાંને જરૂરી હવા અને ભેજ મળે છે. આ કુદરતી ચક્રના લીધે બહારથી મોંઘા ખાતરો કે દવાઓ ખરીદવાની જરૂર રહેતી નથી.
આ અભિયાન ખેડૂતોને ‘ઝીરો બજેટ’ તરફ દોરી જઈને ખેતીનો ખર્ચ નહિવત કરી દે છે અને જમીનની જળસંગ્રહ ક્ષમતામાં વધારો કરે છે. પરિણામે, પર્યાવરણનું સંતુલન જળવાય છે અને સમાજને વિષમુક્ત તથા પૌષ્ટિક આહાર પ્રાપ્ત થાય છે. રાજ્યપાલશ્રી અને ગુજરાત સરકારના આ ભગીરથ પ્રયાસોથી લાખો ખેડૂતો આ માર્ગે વળ્યા છે. ધરતી માતાને રાસાયણિક ઝેરથી મુક્ત કરી ભવિષ્યની પેઢીને સ્વસ્થ જીવન આપવા માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવી એ જ આજના સમયની મોટી માંગ છે.






