સુમન વિદ્યાલયમાં બાળરંજન રંગારંગ સભા યોજાઈ

રિપોર્ટર

હિતેન્દ્ર ગોસાઈ

અમદાવાદ

ગુજરાતી સાહિત્ય પરિષદ અને સાંદિપની સાહિત્ય પર્વના સંયુક્ત ઉપક્રમે સુમન વિદ્યાલય, નારણપુરા ખાતે બાળરંજન રંગારંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાહિત્ય, વાર્તા અને બાળસર્જન સાથે બાળકોને જોડવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

 

કાર્યક્રમના પ્રારંભે શાળાના આચાર્ય અર્પિતભાઈ પટેલે ભારત પંચોલીનું સ્વાગત કરી તેમનો પરિચય કરાવ્યો હતો. ત્યારબાદ ભારત પંચોલીએ બાળકો સાથે સરળ, રસપ્રદ અને સંવાદાત્મક શૈલીમાં વાર્તાલાપ કર્યો હતો. તેમણે ‘દયાબાની ડાહી વાતો’ જેવી રસપ્રદ વાર્તા રજૂ કરી બાળકોને મનોરંજન સાથે જીવનમૂલ્યોનો સંદેશ આપ્યો હતો.

 

‘કંકુ કીડી ડુંગર ચડી’ વાર્તા દ્વારા જીવનમાં કોઈપણ ધ્યેય સિદ્ધ કરવા માટે સતત પ્રયત્ન, મહેનત અને દૃઢ નિશ્ચય જરૂરી છે તેવો પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત ‘ચકી રાણીની ફરિયાદ’ બાળકાવ્યની રજૂઆત કરવામાં આવી હતી, જેને બાળકોએ ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે માણી હતી.

 

આ કાર્યક્રમની વિશેષતા એ રહી હતી કે બાળકો માત્ર શ્રોતા બનીને રહ્યા નહોતા, પરંતુ તેઓ સક્રિય સહભાગી પણ બન્યા હતા. વિવિધ પ્રવૃત્તિઓ અને રજૂઆતોમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમમાં ભાગ લેનારા પાંચ ઉત્સાહી બાળકોને ભારત પંચોલી દ્વારા લખાયેલું બાળવાર્તાનું પુસ્તક ‘દાદાજી ઝિંદાબાદ’ ભેટરૂપે આપવામાં આવ્યું હતું. પુસ્તકની ભેટથી બાળકોમાં વાંચન અને બાળસાહિત્ય પ્રત્યે વધુ રસ જાગે તેવો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો.

 

શાળાના સંચાલક નીતિનભાઈ પટેલે ભારત પંચોલીના સાહિત્યિક કાર્ય અને બાળસાહિત્ય ક્ષેત્રે તેમના યોગદાનનો વિશેષ પરિચય આપ્યો હતો. કાર્યક્રમનું સંચાલન શાળાની શિક્ષિકાએ સુંદર રીતે કર્યું હતું. આ પ્રસંગે કલાકાર અને બાળસાહિત્યપ્રેમી ઉષાબેન ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

સમગ્ર કાર્યક્રમ દરમિયાન બાળકોમાં ઉત્સાહ, આનંદ અને સર્જનાત્મકતાનું સુંદર વાતાવરણ જોવા મળ્યું હતું. વાર્તા, કાવ્ય, સંવાદ અને બાળકોની સહભાગિતાના સુમેળથી યોજાયેલી આ બાળરંજન રંગારંગ સભા ખરેખર સપ્તરંગી મેઘધનુષ્ય જેવી બની રહી હતી. કાર્યક્રમ દ્વારા બાળકોને મનોરંજન સાથે સાહિત્યપ્રેમ, વાંચનની ટેવ અને જીવનમૂલ્યોની પ્રેરણા મળી હતી.


26
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો