હિમાલયના ગ્લેશિયર પીગળવાને લઈને એક અત્યંત ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે, જે સમગ્ર ક્ષેત્ર માટે ગંભીર ચિંતાનો વિષય છે. રિપોર્ટ મુજબ, એક દાયકા પહેલાની સરખામણીએ હવે હિમાલયના ગ્લેશિયર આશરે 65 ટકા વધુ ઝડપથી પીગળી રહ્યા છે. આ સંશોધન ગ્લોબલ કન્સલ્ટન્સી સિસ્ટેમિક દ્વારા ઇન્ટિગ્રેટેડ માઉન્ટેન ઇનિશિયેટિવ સાથે મળીને કરવામાં આવ્યું છે. જેમાં અન્ય અસંખ્ય સંસ્થાઓએ પણ યોગદાન આપ્યું છે. આ અહેવાલ એવા સમયે આવ્યો છે જ્યારે નેપાળ અને તિબેટના હિમાલયમાં ભયાનક પૂરની સ્થિતિ સર્જાઈ ચૂકી છે અને હજારો લોકો પ્રભાવિત થયા છે.

શોધમાં ખુલાસો થયો છે કે હિમાલય ક્ષેત્રમાં ભારતની ભૂમિ માત્ર 18 ટકા જ છે, પરંતુ કુદરતી આપત્તિઓનો 35 ટકા હિસ્સો આ જ ક્ષેત્રમાં નોંધાય છે. ભારતીય હિમાલયના જે ક્ષેત્ર પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે, તેનું દેશની જીડીપીમાં 20 ટકા જેટલું મોટું મહત્ત્વ અને યોગદાન છે. આ ગ્લેશિયર ઝડપથી પીગળવા પાછળ ગ્લોબલ વોર્મિંગની સાથે-સાથે ‘બ્લેક કાર્બન’ સૌથી મોટું કારણ છે. મેદાની વિસ્તારોના ઈંટ-ભઠ્ઠાઓમાંથી નીકળતો ધુમાડો બ્લેક કાર્બન તરીકે ગ્લેશિયર પર જમા થાય છે, જેના કારણે બરફ અતિ ઝડપથી ઓગળવા લાગે છે.
રિપોર્ટમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે આ સદીના મધ્ય સુધીમાં હિમાલય બેસિનની નદીઓમાં પાણીનું સ્તર પોતાના ચરમ પર પહોંચી જશે અને ત્યારબાદ નદીઓ સૂકાવા લાગશે. એટલું જ નહીં, વર્ષ 2100 સુધીમાં હિન્દુ કુશ ક્ષેત્રમાં રહેલા ગ્લેશિયરનો 80 ટકા જથ્થો પાણી બનીને જોખમમાં મુકાઈ જશે. ભારત સરકાર અને સંબંધિત તંત્રએ બ્લેક કાર્બનના ઉત્સર્જનને રોકવા માટે તાત્કાલિક ધોરણે નક્કર પગલાં લેવાની તાતી જરૂર છે, જેથી ભવિષ્યની આ ભયાનક આપત્તિથી બચી શકાય.










