VADODRA:વડોદરામાં પ્રગતિનો ઉત્સવ: PM મોદીના હસ્તે કેન્દ્ર અને રાજ્ય સરકારના ₹35,000 કરોડથી વધુના પ્રકલ્પોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે વડોદરા ખાતે ‘વિકસિત ભારત, વિકસિત ગુજરાત’ના સંકલ્પને વેગ આપતા કેન્દ્ર અને રાજ્ય સરકારના ₹35,000 કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંપન્ન થયા હતા.

માનનીય વડાપ્રધાનશ્રીએ પ્રગતિના ઉત્સવના સાક્ષી બનવાનો આનંદ વ્યક્ત કરવાની સાથોસાથ તેમના સ્વાગત માટે વડોદરાના નાગરિકો દ્વારા આયોજિત અસાધારણ સ્વચ્છતા અભિયાનની પ્રશંસા કરી હતી. માનનીય વડાપ્રધાનશ્રીએ વિકાસ માટેના ‘સપ્તધારા’ સંકલ્પના મેન્યુફેક્ચરિંગ સ્તંભની રૂપરેખા રજૂ કરતાં ટેક્સટાઇલથી પેટ્રોકેમિકલ્સ સુધી વડોદરાના 150-વર્ષના ઔદ્યોગિક વિકાસના વારસાની અને છેલ્લા બે દાયકામાં MSME હબ તરીકે તેની વ્યાપક વૃદ્ધિની સરાહના કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ ટ્રાન્સપોર્ટેશનથી લઈને કનેક્ટિવિટી, આવાસ-પાણી પુરવઠા, રોડ-રસ્તા અને શહેરી વિકાસના કામોની માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા મળેલ ભેટ દેશના વિકાસમાં અગ્રેસર રહેવાની ગુજરાતની પ્રતિબદ્ધતામાં નવા પ્રાણ પુરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશમાં કનેક્ટિવિટી સાથે ‘ઈઝ ઓફ લોજિસ્ટિક્સ’નું સમગ્ર ચિત્ર બદલાઈ ગયું હોવાનું જણાવ્યું હતું.











