વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

આધ્યાત્મિક ચેતના સાથે માનવજીવનમાં સદાચાર, શાંતિ અને સદભાવનાનો સંદેશ પ્રસરાવવાનો સંકલ્પ
વાંસદાના વિહંગમ યોગ સંસ્થાન દ્વારા આયોજિત ૧૧મી સર્વવેદ યાત્રા દંડકવન આશ્રમના પાવન સાનિધ્યમાં ભાવપૂર્વક સંપન્ન થઈ હતી. યાત્રા દરમિયાન આધ્યાત્મિક જાગૃતિ સાથે માનવજીવનમાં સદાચાર, આત્મજ્ઞાન, શાંતિ અને સદભાવનાના મહત્વ અંગે લોકજાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો.
વિહંગમ યોગ સંસ્થાનના માર્ગદર્શન હેઠળ આયોજિત આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ અનંત શ્રી સદ્ગુરુ સદાફલ દેવજી મહારાજ રચિત દિવ્ય આધ્યાત્મિક ગ્રંથ *સર્વવેદ*ના ગૂઢ જ્ઞાન તેમજ વિહંગમ યોગ સાધનાના સંદેશને જન-જન સુધી પહોંચાડવાનો રહ્યો હતો.
યાત્રાના પૂર્ણાહુતિ પ્રસંગે દંડકવન આશ્રમ ખાતે વિશેષ સત્સંગ તથા મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ગુરુભાઈ-બહેનો, સાધકો તથા શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિ અને આધ્યાત્મિકતાનો માહોલ જોવા મળ્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત સૌએ સર્વવેદના દિવ્ય સંદેશ તથા વિહંગમ યોગ સાધનાને પોતાના દૈનિક જીવનમાં ઉતારવાનો સંકલ્પ કર્યો હતો. તેમજ સમાજમાં શાંતિ, સદભાવના અને માનવતાનો સંદેશ વધુ વ્યાપક બને તે માટે સૌએ સાથે મળીને કાર્ય કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
વિહંગમ યોગ સંસ્થાનની ૧૧મી સર્વવેદ યાત્રા આધ્યાત્મિક ચેતનાના જાગરણ સાથે માનવ કલ્યાણ અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાની પ્રેરણાદાયી પહેલ બની રહી હતી.










