“સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત લુણાવાડા ખાતે “સ્વચ્છતા સેવા યોગદાન” કાર્યક્રમ યોજાયો
*

જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે જાતે શ્રમદાન કરી નગરજનોને સ્વચ્છતા જાળવવા પ્રેરણા આપી
*
અમીન કોઠારી મહીસાગર
જિલ્લા કલેક્ટરશ્રીએ લુણાવાડા બસ ડેપોથી ચાર કોશિયા નાકા સુધી વેપારીઓ-દુકાનદારોને સ્વચ્છતા રાખવા માર્ગદર્શન આપ્યું
*
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તા. ૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન રાજ્યવ્યાપી વિશેષ “સેવા સંકલ્પ અભિયાન”ની ઉજવણી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે લુણાવાડા નગરપાલિકા દ્વારા આજ રોજ ચાર કોશિયા નાકા અને લુણાવાડા બસ ડેપો ખાતે “સ્વચ્છતા સેવા યોગદાન” કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મહીસાગર જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે ઉપસ્થિત રહી જાતે શ્રમદાન કર્યું હતું તેમજ નગરમાં સ્વચ્છતા અભિયાનને વેગવંતું બનાવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટરશ્રીએ સ્થાનિક અગ્રણીઓ અને નગરપાલિકાની ટીમ સાથે લુણાવાડા બસ ડેપો અને ચાર કોશિયા નાકા પર સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરી હતી. આ વેળાએ કલેક્ટરશ્રીએ માર્ગ પર આવેલી વિવિધ દુકાનો તથા વ્યવસાયિક એકમોના સંચાલકો-વેપારીઓ સાથે સંવાદ સાધીને પોતાની દુકાન તેમજ આસપાસનો પરિસર સ્વચ્છ રાખવા અને કચરો નિયત કચરાપેટીમાં જ નાખવા ખાસ અનુરોધ કર્યો હતો.
“સ્વચ્છ લુણાવાડા… સ્વસ્થ લુણાવાડા”ના સંકલ્પ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં સ્થાનિક લોકપ્રતિનિધિઓ, સામાજિક આગેવાનો, નગરપાલિકાના પદાધિકારીઓ-અધિકારીઓ તથા સફાઈ કર્મચારીઓ જોડાયા હતા. સૌએ એકસૂરે શ્રમદાન કરી “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત સ્વચ્છતાના સંકલ્પને સાકાર કરવાનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.









