રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. રાજ્યના ચૂંટણી કમિશનર એસ મુરલીકૃષ્ણ દ્વારા વિગતવાર કાર્યક્રમ જાહેર કરાયો હતો. ચૂંટણી પંચની જાહેરાત અનુસાર, ગાંધીનગર મનપા માટે 11 ઓક્ટોબરે મતદાન થશે અને 13 ઓક્ટોબરે મતગણતરી કરવામાં આવશે. ચૂંટણી જાહેર થતાંની સાથે જ આદર્શ આચારસંહિતા લાગુ પડી છે.

ચૂંટણી કાર્યક્રમની મુખ્ય વિગતો
મતદાનની તારીખ: 11 ઓક્ટોબર
મતગણતરી : 13 ઓક્ટોબર
ગાંધીનગર મહાનગરપાલિકામાં કુલ 11 વોર્ડ અને 44 બેઠકો છે. 44 બેઠકો માટે મતદાન યોજાશે. અગાઉ વર્ષ 2021માં યોજાયેલી ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપે 41 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસને 2 અને આમ આદમી પાર્ટીને 1 બેઠક મળી હતી.
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કુલ 195 મતદાન મથકો ઉભા કરવામાં આવશે. અંદાજે 2 લાખ 59 હજાર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. વર્ષ 2021ની ચૂંટણીમાં ગાંધીનગર મનપા વિસ્તારમાં 56.11 ટકા મતદાન નોંધાયું હતું. હવે આ વખતે મતદાનની ટકાવારી કેટલી રહે છે તેના પર પણ સૌની નજર રહેશે.
ચૂંટણી જાહેર થતાં જ રાજકીય ગરમાવો આવ્યો છે. રાજકીય પક્ષો હવે પોતપોતાના ઉમેદવારોની પસંદગી કરશે.








