અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
અરવલ્લીમાં બટાકા પકવતા ખેડૂતોનો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરતી કંપનીઓ સામે મોરચો -આગામી સીઝનમાં વાવેતર નહીં કરવાની ચીમકી
મોડાસાના આણંદપુરા કંપા ખાતે ખેડૂત જાગૃતિ અને એકતા અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ
પ્રતિ 100 કિલોએ 1.5થી 2 કિલો સુધીનો કાપ મૂકાતો હોવાનો ખેડૂતોનો આક્ષેપ, યોગ્ય ભાવ નહીં મળે તો આગામી સીઝનમાં વાવેતર નહીં કરવાની ચીમકી

અરવલ્લી જિલ્લામાં બટાકાનું મોટા પાયે વાવેતર કરતા ખેડૂતો માટે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ હવે ચિંતાનો વિષય બનતું જોવા મળી રહ્યું છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરતી કંપનીઓ અને વેપારીઓ દ્વારા યોગ્ય ભાવ આપવામાં ન આવતો હોવા તેમજ બટાકાની ખરીદી દરમિયાન વજનમાં કાપ મૂકવામાં આવતો હોવાના આક્ષેપ સાથે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.
મોડાસા તાલુકાના આણંદપુરા કંપા ખાતે ખેડૂત જાગૃતિ અને એકતા અભિયાન અંતર્ગત બટાકાનું વાવેતર કરતા ખેડૂતોની બેઠક યોજાઈ હતી. જેમાં અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને બટાકાની ખેતી સાથે સંકળાયેલા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ખેડૂતોના જણાવ્યા મુજબ બટાકાના બિયારણ, ખાતર, દવાઓ, ડીઝલ તેમજ મજૂરીના ખર્ચમાં સતત વધારો થયો છે. તેની સામે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરતી કંપનીઓ અને વેપારીઓ દ્વારા આશરે રૂ.250 જેટલો ભાવ આપવામાં આવે છે, જ્યારે ખેડૂતોને ઉત્પાદન ખર્ચને ધ્યાનમાં રાખીને રૂ.300 જેટલો યોગ્ય ભાવ મળવો જોઈએ તેવી માંગ કરવામાં આવી છે.
આ ઉપરાંત બટાકાની ખરીદી સમયે પ્રતિ 100 કિલોએ 1.5 કિલોથી લઈને 2 કિલા સુધીનો વજનમાં કાપ મૂકવામાં આવતો હોવાનો ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે આવા કાપને કારણે પહેલેથી જ વધેલા ઉત્પાદન ખર્ચ વચ્ચે તેમને વધુ આર્થિક નુકસાન સહન કરવું પડે છે.બેઠકમાં ખેડૂતો દ્વારા કંપનીઓ અને વેપારીઓ સમક્ષ યોગ્ય ભાવ આપવા તેમજ ખરીદી સમયે વજનમાં થતો કાપ બંધ કરવાની માંગ કરવામાં આવી હતી. ખેડૂતોની માંગણીઓનો યોગ્ય ઉકેલ નહીં આવે તો આગામી શિયાળુ સીઝનમાં બટાકાનું વાવેતર નહીં કરવાની ચીમકી પણ બેઠક દરમિયાન ઉચ્ચારવામાં આવી હતી.કોન્ટ્રાક્ટ ફાર્મિંગને લઈને ખેડૂતોમાં ઊભી થયેલી નારાજગી વચ્ચે હવે સંબંધિત તંત્ર દ્વારા સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.






