વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગણેશોત્સવ દરમિયાન ગણેશજીની મૂર્તિની ઊંચાઈ અંગે જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો ભંગ કરનારાઓ સામે નવસારી ટાઉન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસની પ્રેસ નોટ મુજબ, નવસારી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં 12 ફૂટથી વધુ ઊંચાઈની ગણેશ મૂર્તિ સ્થાપિત કરનાર ગણેશ મંડળોના આયોજકો તેમજ આવી મૂર્તિઓ બનાવનાર મૂર્તિકારો સામે કુલ 6 ગુના નોંધવામાં આવ્યા છે. આ કાર્યવાહી કલેક્ટર કચેરીના જાહેરનામા નં. NAV/0835/08/2026, મંજૂર તારીખ 28-08-2026ના ભંગ બદલ કરવામાં આવી છે.
પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી કાર્યવાહીમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 223 તથા 54 મુજબ ગુનાઓ નોંધાયા હોવાનું પ્રેસ નોટમાં જણાવાયું છે.
6 કેસમાં કાર્યવાહી
પોલીસે નીચેના ગણેશ મંડળોના આયોજકો તથા મૂર્તિકારો સામે કાર્યવાહી કરી છે:
* શ્રી સ્વસ્તીક યુવક મંડળના આયોજક ગોપાલભાઈ કરશનભાઈ ભરવાડ તથા મૂર્તિ બનાવનાર સુરેશભાઈ પ્રભુભાઈ બોરડીયા.
* મંડળના આયોજક અનિકેતભાઈ કમલેશભાઈ પટેલ તથા મૂર્તિ બનાવનાર સંજયભાઈ પટેલ.
* કડિયાવાડના રાજા મંડળના આયોજક પીયુષભાઈ જેરામભાઈ પટેલ તથા મૂર્તિ બનાવનાર દીપકભાઈ નાગજીભાઈ હેલરીયા.
* પ્રજાપતિ બાળ ગણેશ મંડળના આયોજક કિરણભાઈ હેમંતભાઈ મિસ્ત્રી તથા મૂર્તિ બનાવનાર ગૌરાંગ મંગળ જાના.
* શિવાજી ગણેશ યુવક મંડળના આયોજક પંકજભાઈ કિશોરભાઈ ભાસ્કર તથા મધ્યપ્રદેશના મૂર્તિ બનાવનાર પંકજભાઈ.
* શ્રી સિદ્ધિવિનાયક મિત્ર મંડળના આયોજક પ્રજ્ઞેશભાઈ પ્રકાશભાઈ કુકણા તથા મૂર્તિ બનાવનાર સુરેશભાઈ પ્રભુભાઈ બોરડીયા.
જાહેરનામાના પાલન માટે પોલીસની કડક કાર્યવાહી
ગણેશોત્સવ દરમિયાન મૂર્તિની નિર્ધારિત ઊંચાઈ સહિતના નિયમોનું પાલન થાય તે માટે નવસારી ટાઉન પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. જાહેરનામાનો ભંગ કરનાર મંડળોના આયોજકો અને મૂર્તિકારો સામે ગુના નોંધાતા ગણેશ મંડળોમાં નિયમોના પાલન અંગે ચેતવણીનો સંદેશ પહોંચ્યો છે.









