તા.18/09/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર


સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા તાલુકાના દેવપરા ગામે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ રૂ. 88,900ના મત્તાની ચોરી કરી ફરાર થઈ જતાં ગ્રામજનોમાં અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી છે. ઘટનાની વિગત અનુસાર, દેવપરા ગામે રહેતા લખમણભાઈ મનજીભાઈ બાવળીયા ગત તા. 13 સપ્ટેમ્બરના રોજ સાંજના સમયે પત્ની સાથે સગા- સંબંધીના ઘરે ખબર- અંતર પૂછવા ગયા હતા. આ દરમિયાન તેમનો પુત્ર પણ ગામમાં આવેલા રામાપીર મંદિર ખાતે પ્રસાદી લેવા ગયો હોવાથી મકાન બંધ હતું. રાત્રિના સમયે પરિવારે ઘરે પરત ફરીને જોયું તો મકાનનો મુખ્ય દરવાજો અંદરથી બંધ જણાયો હતો. આથી દીવાલ ટપીને ઘરમાં પ્રવેશ કરતા જ બંને રૂમના દરવાજાના નકુચા તૂટેલી હાલતમાં મળ્યા હતા અને અંદરનો સામાન વેરવિખેર પડ્યો હતો. કબાટ તપાસતાં અંદર રાખેલા સોના- ચાંદીના દાગીના અને રોકડ રકમ ગાયબ હતી. આ બનાવ અંગે પીડિત પરિવારે પ્રાથમિક તબક્કે સ્થાનિક સ્તરે શોધખોળ હાથ ધરી હતી, પરંતુ ચોરી થયેલો મુદ્દામાલ ન મળતાં આખરે સાયલા પોલીસ મથકે અજાણ્યા તસ્કરો સામે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. ચોરી થયેલા મુદ્દામાલની વિગત મુજબ 250 ગ્રામના છડા (2), 200 ગ્રામનું મંગળસૂત્ર (1) અને 200 ગ્રામનો પોચો (2) અને દોઢ તોલાના જર્મરના પાખીયા (3), એક તોલાની કાનની કડી (4) ઉપરાંત સોનાની વીંટી (1), કાનની નખલી (1), ઓમવાળા ચગદા (2), કાનના પોકરવા (2) અને કાનના દાણા (2) મળી કુલ અંદાજે દોઢ તોલા સોનું. રોકડ રકમ રૂ. 14,000 રોકડા મળી કુલ 88,900 ચોરી આ બનાવ અંગે સાયલા પોલીસે ગુનો નોંધી અજાણ્યા તસ્કરોનું સુરાગ મેળવવા અને તેમને ઝડપી પાડવા માટે આગળની કાયદેસરની તપાસ ચાલુ કરી છે.









