વિજાપુરમાં બાળ કલાકારોની કલાથી 95 ઇકો-ફ્રેન્ડલી ગણપતિ મૂર્તિઓનું સર્જન
ટીબી રોડ પાસે જાયન્ટ્સ સહિયર ગ્રુપ અને પ્રમાણિક પરિવારના ઉપક્રમે ગણપતિ બાપ્પા મોરિયા મહોત્સવ યોજાયો

વાત્સલ્યસમ સમાચાર સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ટીબી રોડ પાસે જાયન્ટ્સ સહિયર ગ્રુપ અને પ્રમાણિક પરિવાર દ્વારા પ્રમુખ શ્રીમતી કૃણાલબેન ઠાકરના નેતૃત્વ હેઠળ ‘ગણપતિ બાપ્પા મોરિયા’ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે યોજાયેલી આ મૂર્તિ સ્પર્ધામાં બાળ કલાકારોએ માટીમાંથી ઇકો-ફ્રેન્ડલી ગણપતિની સુંદર મૂર્તિઓ બનાવી પોતાની સર્જનાત્મકતાનું પ્રદર્શન કર્યું હતું.
વિજાપુર તાલુકાના કુકરવાડા, ગણેશપુરા, મહેશ્વરપુરા, પિલવાઈ, કોટડી અને પટેલપુરા સહિતના ગામોમાંથી બાળકોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. બાળ કલાકારો દ્વારા કુલ 95 માટીની ઇકો-ફ્રેન્ડલી ગણપતિ મૂર્તિઓ તૈયાર કરવામાં આવી હતી. જેમાં આ સ્પર્ધામાંથી પસંદ થયેલા કુલ 11 વિજેતા બાળકોને આકર્ષક ઈનામો, સ્વીટ હેમ્પર તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વિજેતા બાળકો કુકરવાડા, ગણેશપુરા, મહેશ્વરપુરા, પિલવાઈ, કોટડી અને પટેલપુરા ગામોના હતા. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બાળ કલાકારોને પણ મીઠાઈનું બોક્સ, શૈક્ષણિક કીટ તથા પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રવૃત્તિ દ્વારા બાળકોમાં સર્જનાત્મકતા સાથે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ટી.બી. હોસ્પિટલ, વિજાપુર તથા આશ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી અશોકભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમની ઉપસ્થિતિથી કાર્યક્રમને વિશેષ પ્રોત્સાહન મળ્યું હતું. આયોજકો દ્વારા બાળ કલાકારોને પ્રોત્સાહિત કરી ઇકો-ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો.

વાત્સલ્યસમ સમાચાર સૈયદજી બુખારી વિજાપુર







