શ્રી શેરગઢ કન્યા શાળા ખાતે ‘વિકસિત ભારત’ અભિયાન અંતર્ગત ચિત્ર સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં દેશના ભવિષ્ય અને વિકાસ પ્રત્યે જાગૃતિ લાવવાનો તેમજ તેમની સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવાનો હતો શાળાના ધોરણ ૬ થી ૮ ના કુલ ૪૬ બાળકોએ આ બંને સ્પર્ધાઓમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ચિત્ર સ્પર્ધામાં બાળકોએ પોતાની કલ્પનાશક્તિ મુજબ ‘વિકસિત ભારત’ના ચિત્રો દોર્યા હતા, જ્યારે વકૃત્વ સ્પર્ધામાં દેશના ઉત્તરોત્તર વિકાસ પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ પ્રસંગે જિલ્લા ભાજપના હોદ્દેદાર કનકસિંહ બાબરીયા તેમજ કેશોદ તાલુકા યુવા ભાજપ મહામંત્રી અનિલભાઈ ડોબરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે બાળકોના કૌશલ્યને બિરદાવ્યું હતું અને પ્રોત્સાહક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકોએ શ્રેષ્ઠ આયોજન અને સંકલન કરી વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શ્રી શેરગઢ કન્યા શાળામાં બાળકોના સર્વાંગી વિકાસ માટે અવારનવાર આવી વિવિધ સ્પર્ધાઓ, શૈક્ષણિક-સાંસ્કૃતિક કાર્યક્રમો અને દરેક તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. દરેક કાર્યક્રમમાં વાલીઓ તથા ગામલોકો ઉત્સાહપૂર્વક જોડાય છે અને પૂરતો સહયોગ પણ આપે છે.જેના કારણે શાળામાં હાલમાં વિધાર્થીઓની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ










