તા.19/09/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર


માલવણ: ‘નશામુક્ત ભારત જાગૃતિ અભિયાન’ના ભાગરૂપે તા. ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ માલવણ સ્થિત “ૐ શાંતિ” વિદ્યાલય ખાતે એક ભવ્ય અને પ્રેરણાદાયી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવા આચાર્યશ્રી અશ્વિન પટેલ અને સમગ્ર ૐ શાંતિ શાળા પરિવારના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ પ્રોગ્રામમાં શાળાના આશરે ૩૦૦ જેટલા યુવાનો અને યુવતીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સાબરમતી સેન્ટ્રલ જેલના નિવૃત્ત જેલર એમ. એમ. દવે અને તેમનાં ધર્મપત્ની શ્રીમતી ભારતીબેન દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પોતાની ખાખી વર્દીની ફરજ દરમિયાન નશાની લતને કારણે અનેક હોનહાર યુવાનોની જિંદગી બરબાદ થતી નજીકથી જોઈ હોવાથી, નિવૃત્તિ બાદ પણ દવે દંપતી સામાજિક જવાબદારી સમજીને આ નિઃસ્વાર્થ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યું છે. તેઓ અત્યાર સુધીમાં ૧૦૦થી વધુ શાળાઓમાં રૂબરૂ જઈને રાષ્ટ્રના ભવિષ્ય સમાન યુવાનોને સાચો રાહ બતાવી રહ્યા છે.

પોતાના ઉદ્બોધનમાં જેલર એમ. એમ. દવેએ વિદ્યાર્થીઓને મોબાઈલના અતિરેક અને વ્યસનના વળગણથી દૂર રહેવાની અપીલ કરી હતી. તેમણે નશાથી થતા શારીરિક, માનસિક, આર્થિક અને સામાજિક નુકસાન અંગે વિસ્તૃત દ્રષ્ટાંતો આપી વિદ્યાર્થીઓને ચેતવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન શાળાના સ્ટાફ અને વિદ્યાર્થીઓ તરફથી ભારે ઉત્સાહ અને સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. પ્રોગ્રામના અંતે આચાર્ય અશ્વિન પટેલે દવે દંપતીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો તથા મોમેન્ટો આપીને તેમનું ભાવભર્યું સન્માન કર્યું હતું. આચાર્યએ આયોજન અંગે સંપૂર્ણ સંતોષ વ્યક્ત કરી દવે દંપતીને વારંવાર આ શાળાની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરવા નિમંત્રણ આપ્યું હતું.










