દિયોદરના નીલકંઠ મહાદેવ મંદિરે શ્રાવણના છેલ્લા સોમવારે ભક્તિનો મહાસાગર: હજારો દીવડાઓના પ્રકાશથી પરિસર ઝળહળી ઉઠ્યું.
અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર
વાવ-થરાદ જિલ્લાના દિયોદર પંથકમાંથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પવિત્ર શ્રાવણ મહિનાના છેલ્લા સોમવાર નિમિત્તે દિયોદર સ્થિત પ્રખ્યાત નીલકંઠ મહાદેવ મંદિરે ભક્તિનું અદભુત મોજું ફરી વળ્યું હતું. વહેલી સવારથી જ મહાદેવના દર્શન અને આશીર્વાદ મેળવવા માટે હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો.
શ્રાવણના અંતિમ સોમવારે મંદિરમાં ખાસ ‘મહા આરતી’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હજારો ભક્તો પોતાના હાથમાં પ્રજ્વલિત દીવો લઈને મહાદેવની ભક્તિમાં લીન થયા હતા. એકસાથે હજારથી વધુ દીવડાઓની રોશનીથી આખું મંદિર પરિસર ઝળહળી ઉઠ્યું હતું, જેના કારણે અદ્ભુત અને શિવમય દ્રશ્યો સર્જાયા હતા.
મંદિરે પહોંચેલા શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર દિયોદર વિસ્તાર “હર હર મહાદેવ” અને “જય ભોલેનાથ”ના નાદથી ગૂંજી ઊઠ્યો હતો. સ્થળ પર હાજર ભક્તોએ જણાવ્યું હતું કે, શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે નીલકંઠ મહાદેવના દર્શન અને આ દીપમાળાનો અદ્ભુત નજારો જોઈને તેઓ ધન્યતા અનુભવી રહ્યા છે. ભક્તિસભર વાતાવરણમાં શ્રદ્ધાળુઓએ શિવજી સમક્ષ શીશ નમાવી સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી.










