વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
મુંદરાનું ગૌરવ: શિક્ષણ અને સમાજસેવા ક્ષેત્રે અતુલભાઇ પંડ્યાની બે ઐતિહાસિક રાષ્ટ્રીય સિદ્ધિઓ
મુંદરા, તા. ૧૦:
કચ્છના મુંદરાના મુઠ્ઠી ઊંચેરા માનવી અને શિક્ષણ સેવક રોટરીયન અતુલભાઇ પંડ્યાએ ગત અઠવાડિયામાં બે બેવડી અને ઐતિહાસિક રાષ્ટ્રીય સિદ્ધિઓ હાંસલ કરીને મુંદરાનું નામ સમગ્ર દેશમાં રોશન કર્યું છે. તેમના આ વિશિષ્ટ પ્રદાન બદલ સમગ્ર મુંદરા અને કચ્છના શિક્ષણ જગતમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.
તાજેતરમાં મુંબઈની આઈટીસી મરાઠા હોટેલ ખાતે આયોજિત ‘AICPE ઈન્ડિયા એજ્યુકેશન એવોર્ડ્સ ૨૦૨૬’ સમારોહમાં અમૃતા પ્રકાશના હસ્તે અતુલભાઇ પંડ્યા (એન્જલ કોમ્પ્યુટર્સ) ને રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત કરવામાં આવ્યા હતા. દેશભરની ૩,૦૦૦ થી વધુ માન્ય સંસ્થાઓમાંથી એન્જલ કોમ્પ્યુટર્સને “ટોપ ૧૦ ઈન્સ્ટિટ્યૂટ” (કરેક્ટિવ કમ્યુનિટી એજ્યુકેશન ઈમ્પેક્ટ એવોર્ડ) માં સ્થાન મળ્યું છે. આ ઉપરાંત કૌશલ્ય વિકાસ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય બદલ તેમને “ઈન્ડિયા સ્કિલ ચેમ્પિયન એવોર્ડ ૨૦૨૬” થી પણ નવાજવામાં આવ્યા છે.
બીજી તરફ રાજસ્થાનના આબુરોડ ખાતે આયોજિત રોટરી ડિસ્ટ્રિક્ટ ૩૦૫૫ના વાર્ષિક એવોર્ડ વિતરણ સમારોહ ‘શાબાશિયા-૨૦૨૫-૨૬’ માં ડિસ્ટ્રિક્ટ ગવર્નર નિગમભાઈ ચૌધરીના હસ્તે અતુલ પંડ્યાને વર્ષ ૨૦૨૫-૨૬ના “બેસ્ટ અતુલ્ય રોટેરીયન” તરીકે ઘોષિત કરીને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી (માય રોટરી) તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ૧૦૨ કલબોમાંથી ૮૪ કલબોનું ૧૦૦% myrotary.org પર રજીસ્ટ્રેશન અને ૯૯ કલબોને R.I. Citation મેળવવામાં સફળતા મળી હતી. અગાઉ પણ તેઓ બેસ્ટ પ્રેસિડેન્ટ, બેસ્ટ સેક્રેટરી અને બેસ્ટ આસિસ્ટન્ટ ગવર્નર તરીકે સન્માનિત થઈ ચૂક્યા છે.
અતુલભાઇ પંડ્યા ભૂતકાળમાં ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓને ટાઈપિંગનું પ્રેક્ટિકલ જ્ઞાન આપવાથી લઈને આજ સુધી બારોઈ રોડ સ્થિત ‘એન્જલ કોમ્પ્યુટર્સ’ દ્વારા હજારો વિદ્યાર્થીઓને ડિજિટલ શિક્ષણ આપીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ડિજિટલ ભારત’ના સ્વપ્નને સાકાર કરી રહ્યા છે. વિદ્યાર્થીઓને કોમ્યુટર જ્ઞાનની પરીક્ષા આપે અને સરકારી તથા માન્ય સંસ્થાઓના સર્ટિફિકેટ મેળવે ત્યાં સુધી માર્ગદર્શન આપતા અતુલભાઇ વિદ્યાર્થીઓ માટે ખરા અર્થમાં “એન્જલ” સાબિત થયા છે. ૫૮ વર્ષની વયે પણ એક યુવાનને શરમાવે તેવી સ્ફૂર્તિથી સતત કાર્યરત રહેતા અતુલભાઇનું આજીવન શિક્ષણ સેવા બદલ મુંદરાની શિક્ષણ સંસ્થાઓ અને વિદ્યાર્થીઓ દ્વારા જાહેરમાં સન્માન ગોઠવવામાં આવે તેવી રતાડીયા જલારામ સખી મંડળના પ્રમુખ તિતિક્ષાબેન પ્રકાશચંદ્ર ઠક્કરે લોકલાગણીને ઘ્યાને લઈને ઈચ્છા વ્યક્ત કરતા એક યાદીમાં જણાવ્યું હતું.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com






