વિજાપુરમાં 51 લાખ ગાયત્રી મહામંત્રના જપયજ્ઞનો પ્રારંભ રાષ્ટ્ર જાગરણ અને વિશ્વકલ્યાણના સંકલ્પ સાથે 10 દિવસ સુધી ગાયત્રી શક્તિપીઠમાં અખંડ સામૂહિક જપ

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
રાષ્ટ્ર જાગરણ અને વિશ્વકલ્યાણના સંકલ્પ સાથે વિજાપુરમાં આધ્યાત્મિકતાનો અનોખો સંગમ સર્જાયો છે. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા પરમ વંદનીય માતાજી અને અખંડ દીપકની જન્મ શતાબ્દી અંતર્ગત 51 લાખ ગાયત્રી મહામંત્ર બ્રહ્માસ્ત્ર પુરશ્ચરણનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 9થી 19 સપ્ટેમ્બર દરમિયાન ગાયત્રી શક્તિપીઠ, વિજાપુર ખાતે દરરોજ સવારે 6થી સાંજે 6 વાગ્યા સુધી અખંડ સામૂહિક જપ યોજાઈ રહ્યો છે.
વિજાપુર તાલુકા ગાયત્રી પરિવાર દ્વારા આયોજિત આ જપયજ્ઞમાં વિજાપુર તાલુકા ઉપરાંત સમગ્ર જિલ્લાના ગાયત્રી પરિવારના પરિજનો તથા જાહેર જનતાને જોડાવા આહ્વાન કરવામાં આવ્યું છે. સામૂહિક સાધનાના માધ્યમથી રાષ્ટ્ર જાગરણ, યુગનિર્માણ અને વિશ્વકલ્યાણનો સંદેશ લોકો સુધી પહોંચાડવાનો મુખ્ય ઉદ્દેશ હોવાનું આયોજકોએ જણાવ્યું છે.
24 હજાર ગાયત્રી મહામંત્રના અનુષ્ઠાનનું આહ્વાન
આ જપયજ્ઞમાં જોડાનારા સાધકોને 24,000 ગાયત્રી મહામંત્રનું અનુષ્ઠાન કરી આધ્યાત્મિક સાધનાનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે. સવારે 6થી સાંજે 6 વાગ્યા સુધી જપ કરનારા સાધકો માટે આયોજકો દ્વારા ભોજન, ચા અને પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
20થી 23 સપ્ટેમ્બર સુધી પ્રજ્ઞા પુરાણ કથા
જપયજ્ઞ પૂર્ણ થયા બાદ તા. 20થી 23 સપ્ટેમ્બર દરમિયાન દરરોજ રાત્રે 8:30થી 11:30 કલાક સુધી પ્રજ્ઞા પુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા આદરણીય પ્રજ્ઞાપુત્રી શ્રીમતી મમતાબેન પંડિત દ્વારા કરવામાં આવશે. કથાનું સ્થળ પટેલ પાર્ટી પ્લોટ, મણીપુરા રોડ, વિજાપુર રાખવામાં આવ્યું છે.
ગાયત્રી પરિવાર દ્વારા જિલ્લાના તમામ ગાયત્રી શક્તિપીઠ, પ્રજ્ઞાપીઠ અને ગાયત્રી પરિવારની વિવિધ શાખાઓના પરિજનો સહિત જાહેર જનતાને આ મહાઅભિયાનમાં સહભાગી બની સામૂહિક જપ-સાધનાનો લાભ લેવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.










