રિપોર્ટર

હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલા દેવકીનંદન જૈન શ્વેતાંબર દેરાસરની મુલાકાત લઈને મહાવીર જન્મવાંચન નિમિત્તે ભગવાન મહાવીરના ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા હતા.
દેરાસરમાં ભગવાન મહાવીર માટે કરવામાં આવેલા સુંદર આંગી શણગારના મુખ્યમંત્રીએ દર્શન કર્યા હતા. ભક્તિ અને શ્રદ્ધાભર્યા વાતાવરણમાં ભગવાન મહાવીરના આંગી શણગારને નિહાળી તેમણે ધન્યતા અનુભવી હતી તેમજ દેરાસરમાં કરવામાં આવેલા આકર્ષક અને કલાત્મક શણગારને બિરદાવ્યો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ દેરાસરમાં બિરાજમાન અન્ય ભગવંતોનાં પણ ભક્તિભાવપૂર્વક દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. મહાવીર જન્મવાંચનના પાવન અવસર નિમિત્તે તેમણે ઉપસ્થિત જૈન સમાજના આગેવાનો, શ્રાવકો અને નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી.
દેવકીનંદન દેરાસરમાં યોજાયેલા આ ધાર્મિક પ્રસંગ દરમિયાન શ્રદ્ધાળુઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. ભગવાન મહાવીરના જીવન, ઉપદેશો અને અહિંસા, સત્ય તથા સંયમના સંદેશને યાદ કરી ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ ભક્તિપૂર્વક ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
આ પ્રસંગે અમદાવાદ મહાનગરપાલિકાના મેયર હિતેશભાઈ બારોટ, ધારાસભ્યો જીતુભાઈ પટેલ અને અમિતભાઈ ઠાકર, શહેર અધ્યક્ષ પ્રેરકભાઈ શાહ સહિત જૈન સમાજના શ્રેષ્ઠીઓ, શ્રાવકો તેમજ સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
મહાવીર જન્મવાંચનના આ પાવન પ્રસંગે દેરાસર પરિસરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. ભગવાન મહાવીરના અહિંસા, કરુણા અને આત્મસંયમના સંદેશને જીવનમાં ઉતારવાનો સંકલ્પ લેવા સાથે શ્રદ્ધાળુઓએ આ ધાર્મિક પ્રસંગની ઉજવણી કરી હતી.











