તા.10/09/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વિજય સોલંકીને સમયસર સારવાર મળતાં નવજીવન મળ્યું, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તરણેતરથી થાનગઢ તરફ જઈ રહેલા બે યુવાનોને કાનપર નજીક અકસ્માત નડ્યો હતો, જેમાં બાઈક અચાનક સ્લીપ થઈ જતાં એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. જોકે, તે જ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા ચોટીલાના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ત્વરિત અને માનવતાવાદી અભિગમ દાખવી ઈજાગ્રસ્તને પોતાની સરકારી ગાડીમાં જ હોસ્પિટલ ખસેડી સમયસર સારવાર અપાવી જીવ બચાવી લીધો હતો. થાનગઢના મફતિયા પરા વિસ્તારમાં રહેતા વિજયભાઈ વિનાભાઈ સોલંકી અને ધાંગધ્રા તાલુકાના જીવા ગામના વતની દિનેશ હરિભાઈ સોલંકી પોતાના મોટરસાઇકલ પર તરણેતરથી થાનગઢ તરફ જઈ રહ્યા હતા. દરમિયાન કાનપર ગામ નજીક અચાનક બાઈક પરનો કાબૂ ગુમાવતાં મોટરસાઇકલ સ્લીપ થઈ ગયું હતું. આ રોડ અકસ્માતમાં બંને યુવાનો નીચે પટકાયા હતા, જેમાં વિજયભાઈ સોલંકીને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. પોલીસ કાફલાએ સમય સૂચકતા દાખવી અકસ્માત સર્જાયો તે જ સમયે ચોટીલા ડિવિઝનના DySP એસ.એસ. ભદોરીયા તથા થાનગઢ પોલીસ સ્ટેશનના PI વી.યુ. ગડરીયા પોતાની ટીમ સાથે સરકારી વાહનમાં તરણેતર તરફ જઈ રહ્યા હતા. રસ્તા પર અકસ્માત થયેલો જોઈને તેમણે તુરંત જ પોતાનો કાફલો રોક્યો હતો. ઈજાગ્રસ્ત યુવાનની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જણાતાં, એમ્બ્યુલન્સની રાહ જોવામાં સમય બગાડવાને બદલે DySP અને PI એ તાત્કાલિક નિર્ણય લીધો હતો. તેમણે ઈજાગ્રસ્ત વિજયભાઈને પોતાની જ સરકારી ગાડીમાં બેસાડીને નજીકની હોસ્પિટલે ઝડપથી પહોંચાડ્યા હતા. પરિવાર અને ગ્રામજનોએ માન્યો આભાર પોલીસની ત્વરિત કામગીરી અને સમયસરની તબીબી સારવારના કારણે ઈજાગ્રસ્ત વિજયભાઈ સોલંકીનો જીવ બચી ગયો છે. સામાન્ય રીતે પોલીસની છબી કડક અધિકારી તરીકેની હોય છે, પરંતુ ‘ખાખી’ પાછળ છુપાયેલી આ માનવતા જોઈને ઈજાગ્રસ્તના પરિજનો તથા સ્થાનિક રહીશો ભાવુક બન્યા હતા. સમયસર પહોંચાડેલી મદદ બદલ લોકોએ ચોટીલા DySP, થાનગઢ PI અને તેમની ટીમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.










