વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

મુશળધાર વરસાદમાં ધોવાઈ ગયેલા રેલવે ટ્રેકનું સમારકામ પૂર્ણ થતા ટ્રેન સેવા ફરી શરૂ,નોકરીયાતો, વિદ્યાર્થીઓ અને સામાન્ય મુસાફરોને મોટી રાહત..
બીલીમોરાથી વઘઈ જતી નેરોગેજ ટ્રેન સેવા અંદાજે એક માસ અગાઉ દક્ષિણ ગુજરાતમાં પડેલા મુશળધાર વરસાદને કારણે રેલવે ટ્રેક ધોવાઈ જતા બંધ કરવામાં આવી હતી.ટ્રેન સેવા બંધ થતા વઘઈ, ઉનાઈ યાત્રાધામ તેમજ અનાવલ, રાનકુવા, ધોળીકુવા, ચીખલી રોડ સહિતના વિસ્તારોમાંથી રોજગાર અને અન્ય કામકાજ માટે સુરત તથા વલસાડ તરફ અવરજવર કરતા નોકરીયાતો અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.વરસાદની સ્થિતિ સામાન્ય બન્યા બાદ વલસાડ રેલવે તંત્ર દ્વારા ધોવાઈ ગયેલા રેલવે ટ્રેકના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બે દિવસ અગાઉ નેરોગેજ રેલવે ટ્રેકનું જરૂરી સમારકામ પૂર્ણ કરવામાં આવ્યું હતુ.ત્યારબાદ એન્જિન દોડાવી ટ્રેકનું ફિટનેસ પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતુ.આ દરમિયાન, વઘઈ ખાતે લાંબા સમયથી રોકાયેલી નેરોગેજ ટ્રેનને પણ એન્જિનની મદદથી બીલીમોરા ખાતે લાવવામાં આવી હતી. ત્યારબાદ આજે રેલવે તંત્ર દ્વારા બીલીમોરાથી વઘઈ તરફ નેરોગેજ ટ્રેન સેવા ફરી શરૂ કરવામાં આવતા મુસાફરોમાં આનંદની લાગણી જોવા મળી હતી.ટ્રેન સેવા પુનઃ શરૂ થતાં લાંબા સમયથી મુસાફરીની મુશ્કેલીનો સામનો કરી રહેલા નોકરીયાતો, વિદ્યાર્થીઓ, વેપારીઓ તેમજ સામાન્ય મુસાફરોને મોટી રાહત મળી છે.નેરોગેજ ટ્રેન ફરી પાટા પર દોડતી થતાં વઘઈ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારો માટે જીવાદોરી સમાન પરિવહન સેવા.બીલીમોરા-વઘઈ નેરોગેજ ટ્રેન માત્ર રેલવે સેવા નથી, પરંતુ ડાંગ સહિતના ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોના અનેક લોકો માટે રોજિંદા જીવન સાથે જોડાયેલી મહત્વપૂર્ણ પરિવહન સેવા છે.નોકરી, વ્યવસાય, શિક્ષણ, સારવાર તેમજ અન્ય રોજિંદા કામકાજ માટે સુરત, વલસાડ અને આસપાસના વિસ્તારોમાં અવરજવર કરતા લોકો માટે આ ટ્રેન સરળ, સસ્તું અને ઉપયોગી પરિવહનનું સાધન બની રહી છે. ટ્રેન સેવા ફરી શરૂ થતા મુસાફરોને લાંબા સમય બાદ મોટી રાહત મળી છે..









