તા.૧૭.૦૯.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ચોસાલા ખાતે 185 સગર્ભા માતાઓને પોષણ કિટનું વિતરણ
સ્વસ્થ માતા – સ્વસ્થ બાળક – સુવર્ણ ભવિષ્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ચોસાલા ખાતે સગર્ભા માતાઓને પોષણ કિટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સગર્ભા માતાઓને ગર્ભાવસ્થા દરમિયાન પૌષ્ટિક અને સંતુલિત આહારનું સેવન કરવા તેમજ નિયમિત આરોગ્ય તપાસ કરાવવા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.સાથે જ માતા અને શિશુના સ્વાસ્થ્ય માટે યોગ્ય પોષણના મહત્વ અંગે સમજ આપવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્યશ્રીના હસ્તે કુલ 185 સગર્ભા માતાઓને પોષણ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સગર્ભા માતાઓને પૌષ્ટિક આહાર માટે પ્રોત્સાહિત કરી માતા અને શિશુના સ્વાસ્થ્યને વધુ સુદૃઢ બનાવવાના હેતુથી આ પહેલ હાથ ધરવામાં આવી હતી.સગર્ભા માતાનું સારું પોષણ એ તંદુરસ્ત બાળકના જન્મ અને ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે – “સ્વસ્થ માતા, સ્વસ્થ બાળક, સુવર્ણ ભવિષ્ય”ના સંકલ્પ સાથે આરોગ્ય વિભાગ દ્વારા જનજાગૃતિ અને પોષણલક્ષી પ્રવૃત્તિઓને વેગ આપવામાં આવી રહ્યો છે.આ પ્રસંગે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ચોસાલાના મેડિકલ ઓફિસર, ડૉ હીરલ દેસાઈ, આરોગ્ય વિભાગનો સ્ટાફ, આશા બહેનો તેમજ સગર્ભા માતાઓ તેમજ સરપંચ, તાલુકા સભ્ય સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.










