વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

તપસ્વીઓની ભવ્ય શોભાયાત્રામાં જૈન સમાજનો ઉમળકાભેર સહભાગ; વાંસદા નગરમાં છવાયો ધાર્મિક માહોલ
વાંસદા શહેરમાં પવિત્ર પયુષણ પર્વની ધાર્મિક અને ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. જૈન સમાજ દ્વારા પયુષણ પર્વ નિમિત્તે તપસ્વીઓની ભવ્ય શોભાયાત્રા યોજાતા સમગ્ર નગર ભક્તિના રંગે રંગાઈ ગયું હતું.
વહેલી સવારથી જ જૈન સમાજના શ્રાવક-શ્રાવિકાઓ જૈન મંદિરે દર્શન, પૂજા અને પ્રાર્થના માટે ઉમટી પડ્યા હતા. ત્યારબાદ ભગવાનને સુંદર રીતે શણગારેલા રથમાં બિરાજમાન કરી ભક્તિગીતો અને સંગીતના સથવારે નગરના મુખ્ય માર્ગો પરથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
શોભાયાત્રા દરમિયાન રથ વિવિધ વિસ્તારોમાંથી પસાર થતાં પોતાના આંગણે રથ પહોંચતા અનેક પરિવારો દ્વારા પૂજા-અર્ચના કરી શ્રદ્ધાપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. વાંસદા જૈન સમાજના યુવાઓએ રથને હાથથી ખેંચી ધાર્મિક ભાવનામાં ઉત્સાહભેર સહભાગીતા નોંધાવી હતી.
શોભાયાત્રામાં જૈન સમાજના અગ્રણીઓ, શ્રાવક-શ્રાવિકાઓ, મહિલાઓ અને નાના બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ભક્તિગીતો અને સંગીતના સથવારે આગળ વધતી શોભાયાત્રાથી સમગ્ર નગરમાં આધ્યાત્મિક અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.
પયુષણ પર્વ જૈન સમાજમાં આત્મશુદ્ધિ, સંયમ, તપ, સાધના અને ક્ષમાભાવનાનું પાવન પર્વ માનવામાં આવે છે. તપસ્વીઓના સન્માન અને ધાર્મિક ભાવનાને કેન્દ્રમાં રાખીને યોજાયેલી આ શોભાયાત્રામાં સમાજના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
નગરના વિવિધ વિસ્તારોમાં શ્રદ્ધાળુઓ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવતા વાંસદામાં પયુષણ પર્વની ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો.










