વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

દરબાર ચા રાજા ગણેશ મંડળ ખાતે યોજાયેલા સેવાકીય અભિયાનમાં 123 યુનિટ રક્ત એકત્રિત
વાંસદા ખાતે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે દરબાર ચા રાજા ગણેશ મંડળ ખાતે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દરબાર ચા રાજા ગણેશ મંડળ, વાંસદા તાલુકા ભારતીય જનતા પાર્ટી તથા વાંસદા તાલુકા હેલ્થ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કેમ્પમાં રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
મહા રક્તદાન કેમ્પમાં યુવાનો સહિત અનેક રક્તદાતાઓએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. કેમ્પ દરમિયાન કુલ 123 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.
કેમ્પનો પ્રારંભ વાંસદા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. પ્રમોદભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો, જ્યારે સંજયભાઈ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના સંજયભાઈ પટેલ, રાકેશભાઈ શર્મા, વિરલભાઈ વ્યાસ, કૌશિકભાઈ પટેલ, કરસનભાઈ, સંજય બિરારી, અજય ગામીત, ધર્મિષ્ઠાબેન પટેલ અને પ્રદ્યુમનસિંહ સોલંકી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પને સફળ બનાવવા માટે તિલક ગ્રુપ તથા JCI વાંસદા રોયલ દ્વારા મહત્વપૂર્ણ સહયોગ આપવામાં આવ્યો હતો. જ્યારે NMP બ્લડ બેન્ક, બીલીમોરા તરફથી ડૉ. તેજસ શાહ સહિતની તબીબી ટીમે સેવા આપી હતી.
રક્તદાનનું મહત્વ સમજાવી યુવાનોમાં જાગૃતિ ફેલાવવા તથા વધુમાં વધુ લોકોને સ્વૈચ્છિક રક્તદાન માટે પ્રેરિત કરવા ડૉ. લોચન શાસ્ત્રી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ સમગ્ર સેવાકીય અભિયાનમાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઈ રક્તદાન કર્યું હતું. એક યુનિટ રક્ત કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ માટે જીવનદાયી બની શકે છે, ત્યારે 123 યુનિટ રક્ત એકત્રિત થવું કેમ્પની સફળતાને ઉજાગર કરે છે.
કેમ્પના અંતે આયોજકો દ્વારા તમામ રક્તદાતાઓ, આરોગ્ય વિભાગ, તબીબી ટીમ, સહયોગી સંસ્થાઓ અને ઉપસ્થિત આગેવાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને સેવાકીય કાર્ય સાથે જોડીને વાંસદામાં યોજાયેલ આ મહા રક્તદાન કેમ્પે ‘સેવા અને સંકલ્પ’નો સંદેશ પ્રસરાવ્યો હતો.










