વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

એંધલના સામાન્ય પરિવારમાંથી L&Tના ચેરમેન સુધીની સફર, અને પછી સમાજસેવા માટે કરોડોની સંપત્તિનું સમર્પણ
નવસારી નજીકના એંધલ ગામે સામાન્ય મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલા અનિલ નાયકની જીવનયાત્રા આજે અનેક લોકો માટે પ્રેરણારૂપ બની છે. એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા બાદ L&T કંપની સાથે જોડાયેલા અનિલ નાયક પોતાની મહેનત અને પ્રતિભાના બળે કંપનીના ચેરમેન પદ સુધી પહોંચ્યા હતા. જોકે, તેમની ઓળખ માત્ર એક સફળ ઉદ્યોગપતિ તરીકે નહીં, પરંતુ સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના ધરાવતા દાનવીર તરીકે પણ બની છે.
બે વર્ષની પૌત્રી ‘નિરાલી’ની યાદમાં અનોખું સેવાકાર્ય
અનિલ નાયકની દૌહિત્રી નિરાલીનું માત્ર બે વર્ષની ઉંમરે બ્લડ કેન્સરની બીમારીથી દુઃખદ અવસાન થયું હતું. પૌત્રીના અકાળે નિધનથી વ્યથિત નાયક પરિવારે તેની સ્મૃતિને કાયમી બનાવવાની સાથે કેન્સર સહિતની ગંભીર બીમારીઓથી પીડાતા દર્દીઓને અત્યાધુનિક સારવાર મળી રહે તેવા ઉદ્દેશથી વિશાળ સેવાકાર્ય હાથ ધર્યું.
અનિલ નાયકે પોતાની જીવનભરની કમાણીમાંથી અંદાજે ૭૫ ટકા જેટલી રકમનું દાન હોસ્પિટલના નિર્માણ માટે આપ્યું હોવાનું જણાવાયું છે. આ દાનમાંથી નવસારીમાં ‘નિરાલી કેન્સર એન્ડ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ’નું નિર્માણ થયું છે.
નવસારીને મળ્યું આધુનિક આરોગ્યસેવાનું મહત્વનું કેન્દ્ર
નિરાલીની યાદમાં ઊભી કરાયેલી આ હોસ્પિટલ કેન્સર સારવાર ઉપરાંત મલ્ટીસ્પેશિયાલિટી આરોગ્યસેવાઓ માટે પણ મહત્વપૂર્ણ કેન્દ્ર બની છે. હોસ્પિટલના શિલાન્યાસ પ્રસંગે વર્ષ ૨૦૨૧માં તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે ૧૦ જૂન, ૨૦૨૨ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
સાદગી, સંસ્કાર અને સેવાભાવનો વારસો
અનિલ નાયકના પિતા મણીભાઈ સામાન્ય શિક્ષક હતા. તેઓ ગાંધીવાદી વિચારધારા ધરાવતા હતા અને સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે પણ જોડાયેલા હોવાનું જણાવાય છે. ગ્રામ્ય વિકાસ માટે પણ તેમણે અનેક સેવાકીય કાર્યો કર્યા હતા. પિતાના સંસ્કારોનો પ્રભાવ અનિલ નાયકના જીવનમાં પણ જોવા મળે છે.
આજે ૮૪ વર્ષની ઉંમરે પણ અનિલ નાયકનું આ સેવાકાર્ય સમાજ માટે પ્રેરણારૂપ બન્યું છે. એક પરિવારની વ્યક્તિગત પીડાને સમાજ માટેની મોટી સેવામાં પરિવર્તિત કરી ‘નિરાલી’નું નામ અમર બનાવવાનો આ પ્રયાસ માનવતાની અનોખી મિસાલ બની રહ્યો છે.







