તા.11/09/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

શ્રદ્ધા સાથે સ્વચ્છતા અને ભક્તિ સાથે પર્યાવરણની શુદ્ધિના સંકલ્પ સાથે ધાર્મિક સ્થળોએ સ્વચ્છતા અભિયાન, પવિત્ર શ્રાવણ માસ અને આગામી તહેવારોને અનુલક્ષીને ધાર્મિક તીર્થસ્થાનોની પવિત્રતા, સુઘડતા અને પર્યાવરણીય સુંદરતા જાળવી રાખવાના ઉદ્દેશથી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી સુરેન્દ્રનગર દ્વારા ‘સ્વચ્છ તીર્થસ્થાન, પવિત્ર ગુજરાત’ મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ‘શ્રદ્ધા સાથે સ્વચ્છતા અને ભક્તિ સાથે પર્યાવરણની શુદ્ધિ’ના સંદેશ સાથે તીર્થસ્થાનોને પર્યાવરણમિત્ર બનાવવા અને શ્રદ્ધાળુઓમાં જાગૃતિ કેળવવી એ આ અભિયાનનો મુખ્ય ધ્યેય છે. આ લોકઅભિયાનના પ્રથમ તબક્કામાં સુરેન્દ્રનગર જિલ્લાના ત્રણ પવિત્ર મંદિરો વઢવાણ સ્થિત શનિ મંદિર, વાઘેશ્વરી મંદિર તથા ગણપતિ ફાટસર ધામની પસંદગી કરવામાં આવી છે. GPCBના અધિકારીઓએ આ ધાર્મિક સ્થળોની રૂબરૂ મુલાકાત લઈ સ્વચ્છતા ડ્રાઈવ ચલાવી હતી. આ વેળાએ મંદિરના ટ્રસ્ટીઓ તથા પૂજારીઓ સાથે સદભાવપૂર્ણ ગોષ્ઠિ યોજીને મંદિર પરિસરને ‘ઝીરો વેસ્ટ’ ક્ષેત્ર બનાવવા માટે કચરાના સ્ત્રોત પર જ વર્ગીકરણ, સુવ્યવસ્થિત સંગ્રહ અને યોગ્ય નિકાલ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તીર્થસ્થાનોની સ્વચ્છતા માત્ર એક દિવસ પૂરતી મર્યાદિત ન રહેતાં સતત જળવાઈ રહે તે માટે જનભાગીદારી વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લાની સુરસાગર ડેરીને ‘હરિત સાથી’ તથા ‘સ્વચ્છ તીર્થસ્થાન સેવક’ તરીકે આ અભિયાનમાં જોડીને સેવાકાર્યમાં અગ્રસર કરવામાં આવી છે. ધાર્મિક આસ્થા સાથે સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણને સાંકળતા આ અભિયાનમાં મંદિર ટ્રસ્ટો, સ્થાનિક નાગરિકો અને સેવાભાવી સંસ્થાઓના સહિયારા પ્રયાસોથી ‘સ્વચ્છ અને પવિત્ર ગુજરાત’ના સંકલ્પને વધુ સુદ્રઢ બનાવવાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.










