વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
રતાડીયા (ગણેશવાળા) ગામે ગણેશ ચતુર્થી નિમિત્તે ભક્તિમય માહોલમાં ગણેશ યજ્ઞ યોજાયો
કચ્છમાં સારા વરસાદ માટે હવનમાં પ્રાર્થના કરાઈ, બપોર બાદ મેઘરાજાએ હાજરી પુરાવતા ભક્તોમાં આનંદ છવાયો
રતાડીયા, તા. 14:
મુંદરા તાલુકાના રતાડીયા (ગણેશવાળા) ગામે ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે પૂજ્ય ગણપતિ દાદાના મંદિરે મુલાણી પરિવાર દ્વારા દર વર્ષની પરંપરા મુજબ શાસ્ત્રોક્ત વિધિથી ગણેશ યજ્ઞ (હવન)નું ભક્તિભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
કચ્છમાં આ વર્ષે વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું હોવાથી યોજાયેલા હવન દરમિયાન સારા વરસાદ, ખેતીની સમૃદ્ધિ તથા સમગ્ર કચ્છમાં સુખ-શાંતિ અને કલ્યાણ માટે ગણપતિ દાદાને પ્રાર્થના કરવામાં આવી હતી. શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ભક્તોએ હવનમાં આહુતિ અર્પણ કરી હતી.
આ ધાર્મિક પ્રસંગે આસપાસના ગામોના શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. મંદિર પરિસરમાં સમગ્ર દિવસ દરમિયાન ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું.
વિશેષ બાબત એ રહી કે હવન અને પ્રાર્થના બાદ બપોર બાદ મેઘરાજાએ પણ હાજરી પુરાવી હતી. વરસાદના આગમનથી ઉપસ્થિત ભક્તોમાં આનંદની લાગણી પ્રસરી હતી અને શ્રદ્ધાળુઓએ તેને ગણપતિ દાદાના આશીર્વાદ સમાન માની ખુશી વ્યક્ત કરી હતી. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને સારા ચોમાસાની આશા પણ વધુ પ્રબળ બની હતી.
ઉલ્લેખનીય છે કે હાલમાં રાજ પ્રકાશનાથ ગુસાઈ દ્વારા ગણપતિ દાદાના મંદિરની પૂજા-સેવાની જવાબદારી સંભાળવામાં આવી રહી છે.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com








