ધારાસભ્ય ચૈતર વસાવાની વહેલી જેલ મુક્તિ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે યાહા મોગી માતાજીના દરબારમાં પ્રાર્થના*


તાહિર મેમણ – ડેડીયાપાડા – 20/09/2026 – ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલમાં જેલવાસ ભોગવી રહ્યા છે. વિરોધ પક્ષના મજબૂત અવાજ અને આદિવાસી સમાજના અધિકારો માટે સતત લડતા ધારાસભ્ય ચૈતર વસાવા સામે થયેલી કાનૂની કાર્યવાહી અને જેલવાસને પગલે સમગ્ર વિસ્તારમાં તથા કાર્યકરોમાં ચિંતાનો માહોલ છે. તેઓ જેલમાં હોવા છતાં તેમના ક્ષેત્રના વિકાસકામો અને સંગઠનની કામગીરી અટકે નહીં તે માટે આમ આદમી પાર્ટીના નેતાઓ અને પરિવારજનો સતત સક્રિય રહીને જનતા વચ્ચે જઈ રહ્યા છે.
ધારાસભ્ય ચૈતર વસાવાની જલ્દી જેલ મુક્તિ થાય, તેમની તંદુરસ્તી ઉત્તમ રહે તથા આમ આદમી પાર્ટીના ‘બૂથ સંગઠન નિર્માણ ૨૦૨૭’ ની સફળ શરૂઆત થાય તે હેતુથી આજે તારીખ ૨૦/૦૯/૨૦૨૬, રવિવારના રોજ સવારે ૬:૦૦ કલાકે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધારાસભ્યના ધર્મપત્ની શકુંતલાબેન વસાવા, વર્ષાબેન વસાવા, આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી અને નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા, દયારામ વસાવા તથા નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, તાલુકા પંચાયતના પ્રતિનિધિઓ, હોદ્દેદારો, સરપંચઓ અને મોટી સંખ્યામાં કાર્યકરોએ યાહા મોગી માતાજીના મંદિરે શીશ ઝુકાવ્યું હતું. સૌએ પૂજા-આરતીમાં ભાગ લઈ ચૈતરભાઈની વહેલી જેલ મુક્તિ માટે પ્રાર્થના કરી હતી અને ત્યારબાદ ૨૦૨૭ની ચૂંટણી લક્ષી બૂથ સંગઠન નિર્માણ ઝુંબેશનો પ્રારંભ કર્યો હતો.









