તા.૧૮/૯/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
રક્તદાન માટે લોકોનો ઉત્સાહ જોવા મળ્યો: જસદણ પ્રાંત અધિકારી સહિત સ્ટાફ દ્વારા બ્લડ ડોનેશન કરાયું
રક્તદાન શિબિરોમાં અંગદાન માટેના શપથ લેવાયા
Rajkot: રાજ્યભરમાં શરૂ થયેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત રાજકોટ જિલ્લામાં તમામ તાલુકા મથક તેમજ મહાનગરપાલિકા વિસ્તારમાં ગતરોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત વિવિધ શિબિરોમાં સ્વૈચ્છિક રક્તદાન માટે ઓતલોકો ઉમટ્યા હતા. રાજકોટ શહેર, જિલ્લામાં યોજાયેલી શિબિરોમાં ૮૦૩ યુનિટ બ્લડ એકત્ર કરાયું હતું.

જસદણમાં સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે આયોજિત રક્તદાન કેમ્પમાં પ્રાંત અધિકારી શ્રી રાહુલ ખાંભરા તેમજ અન્ય સ્ટાફ તમામે ઉત્સાહપૂર્ણ રીતે રક્તદાન કર્યું હતું. વિંછિયામાં તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. રાજા ખાંભલા તેમજ સુપ્રિન્ટેન્ડન્ટે પણ રક્તદાન કરીને લોકોને રક્તદાન કરવા પ્રેરણા આપી હતી.

દરમિયાન જેતપુરમાં સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે ચાલી રહેલા રક્તદાન કેમ્પની મુલાકાત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી આર.આર. ફુલમાલી તથા આર.સી.એચ.ઓ.શ્રી દ્વારા લેવામાં આવી હતી. પડધરીમાં રક્તદાન શિબિરમાં ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ દેથરિયાએ રક્તદાતાઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કર્યા હતા.

વિવિધ તાલુકાઓમાં ચાલી રહેલા રક્તદાનની સાથે અંગદાન માટેની મહાપ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી.










