તારીખ ૧૯/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
ગોધરા: ટીંબાગામ પ્રાથમિક શાળામાં ગણેશોત્સવ અંતર્ગત સ્થાપિત ગણેશજીની આજે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ૧૦૮ દીવાની મહા આરતી કરવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા શાળા પરિવાર દ્વારા મહા આરતીમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો હતો. સમગ્ર શાળા પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું.
મહા આરતી બાદ “ગણપતિ બાપ્પા મોરિયા, આવતા વર્ષે વહેલા આવજો”ના જયઘોષ સાથે ગણેશજીનું ભાવભક્તિપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું. ગણેશોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓમાં ધાર્મિક સંસ્કાર, એકતા, સહકાર અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગને વધુ આનંદમય બનાવતાં શાળાના શિક્ષક રઘુભાઈ ભરવાડને રાજ્ય પારિતોષિક-૨૦૨૬થી સન્માનિત કરવામાં આવ્યા હોવાની ખુશીમાં તેમના તરફથી શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો, ગામના આગેવાનો,એસ. એમ. સી સભ્યો, પગાર કેન્દ્ર ના શિક્ષકો અને તેમના પરીવાર માટે સ્નેહ મિલન સાથે તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌએ સાથે મળીને ભોજનનો આનંદ માણ્યો હતો.
રાજ્ય પારિતોષિક પ્રાપ્ત થવા બદલ રઘુભાઈ ભરવાડને શાળા પરિવાર તથા શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તેમના સન્માનની ખુશીમાં યોજાયેલ આ સ્નેહ મિલન કાર્યક્રમથી શાળામાં આનંદ અને આત્મીયતાનો માહોલ સર્જાયો હતો.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા શાળા પરિવાર દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. અંતે સૌએ ગણેશજીને ભાવભીની વિદાય આપી અને આગામી વર્ષે ફરીથી ગણેશજીના આગમનની પ્રાર્થના કરી હતી.









