રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૭.૯.૨૦૨૬
પવિત્ર શ્રાવણ મહિનાના ચોથા અને અંતિમ સોમવાર નિમિત્તે હાલોલ શહેર સહિત સમગ્ર પંથકના શિવમંદિરોમાં શ્રદ્ધાળુઓનું ભારે મહેરામણ ઉમટી પડ્યું હતું. વહેલી સવારથી જ શિવાલયોમાં ભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ «હર હર મહાદેવ» અને «ઓમ નમઃ શિવાય»ના નાદથી ગુંજી ઊઠ્યું હતું.ભક્તોએ પરિવાર સાથે મંદિરોમાં પહોંચી શિવલિંગ પર જળાભિષેક કર્યો હતો તથા કમળ અને બીલીપત્ર અર્પણ કરીને દેવાધિદેવ મહાદેવની ભાવપૂર્વક પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. આખો દિવસ શિવમંદિરોમાં શ્રદ્ધાળુઓની સતત અવરજવર જોવા મળી હતી.શ્રાવણ માસ દરમિયાન પંથકના શિવમંદિરોમાં એક અનોખી પરંપરા જોવા મળે છે. રોજ સવારે ૪:૦૦ વાગ્યાથી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી મંદિરના ભૂદેવો/બ્રાહ્મણો દ્વારા ભગવાન શિવજીને બીલીપત્રો ચડાવવામાં આવે છે. ત્યારબાદ સાંજના સમયે આ જ બીલીપત્રો વડે શિવલિંગનો મનોહર અને ખાસ શણગાર કરવામાં આવે છે. આ અલૌકિક દર્શન ભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.શ્રાવણના અંતિમ સોમવારે હાલોલ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના શિવાલયો સંપૂર્ણપણે ભક્તિમય રંગે રંગાયેલા જોવા મળ્યા હતા.









