તા.07/09/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ કોઈ નિર્દોષ વ્યકિત ખોટી રીતે કોઈ કેસમાં સાચો ગુનેગાર છટકી ન જાય તે માટે રાજકોટ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લીપ્ત રાય તથા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ દ્વારા સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓનું પાલન કરીને લીંબડી ડિવિઝનની પોલીસે એક નિર્દોષ નાગરિકને કાયદાકીય કુંડાળામાંથી ઉગારીને ન્યાય અપાવવાનું સરાહનીય કાર્ય કર્યું છે. ગત તા. ૧૯/૦૮/૨૦૨૬ ના રોજ સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારના કરશનપરા ખાતે રહેતા ગોપાલભાઈ જેઠાભાઈ સભાણીની મૂળી રોડ પર આવેલી વાડીમાં ગેરકાયદેસર સુકો ગાંજો રાખેલો હોવાની બાતમી મળતા પોલીસે રેઇડ કરી હતી. રેઇડ દરમિયાન વાડીમાંથી ૭ કિલો ૮૮૫ ગ્રામ સુકો ગાંજો કિંમત રૂ. ૩,૯૪,૨૫૦ મળી આવ્યો હતો. આ મુદ્દામાલ સાથે ગોપાલભાઈની અટકાયત કરવામાં આવી અને સાયલા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચુડા પો.સ્ટે.ના પીઆઇ એસ.એન. પટેલને સોંપવામાં આવી હતી. ગોપાલભાઈ સભાણીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન જણાવાયું કે તેઓ નિષ્પાપ છે અને તેમની સાથે કોઈએ રાગદ્વેષ કે જૂની અદાવતમાં આ ષડયંત્ર રચ્યું હોવાની આશંકા વ્યક્ત કરી હતી. આ બાબતની ગંભીરતા સમજીને જિલ્લા પોલીસ અધિક્ષકે આ કેસની તપાસ લીંબડી નાયબ પોલીસ અધિક્ષક વી. એમ. રબારીને સોંપી હતી. DySP વી.એમ. રબારી અને તેમની ટીમે તપાસનો દોર હાથમાં લઈ ટેકનિકલ સોર્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને સીસીટીવી ફુટેજ ચકાસવાનું શરૂ કર્યું. અલગ-અલગ ટીમો બનાવીને ઊંડાણપૂર્વક પુરાવા એકત્ર કરવામાં આવ્યા. તપાસ દરમિયાન સામે આવ્યું કે સાયલાના જ અરજણભાઈ ઉર્ફે ભુવા મૈયાભાઈ શિયાળ અને દેવજીભાઈ રામજીભાઈ વિભાભાઈ મીરને ગોપાલભાઈ સાથે અગાઉ મનદુઃખ થયેલું હતું. આ વાતનો ખાર રાખીને ગોપાલભાઈને ફસાવવા માટે તેમણે એક મોટું ષડયંત્ર રચ્યું હતું કે આરોપી દેવજીભાઈ મીરે મહારાષ્ટ્રમાંથી ગેરકાયદેસર સુકો ગાંજો મંગાવ્યો હતો. રાત્રીના સમયે એક સાક્ષીને મોટરસાયકલ પર સાથે રાખીને અરજણ ભુવાએ આ ગાંજો ગોપાલભાઈની વાડીમાં છુપાવી દીધો હતો. ગાંજો ગોપાલભાઈની વાડીમાં મુકાઈ ગયા બાદ, અરજણ ભુવાએ પોતે જ પોલીસને બાતમી આપીને રેઇડ કરાવી હતી જેથી ગોપાલભાઈ જેલમાં ધકેલાઈ જાય. પોલીસે અરજણભાઈ ઉર્ફે ભુવા શિયાળની યુક્તિ- પ્રયુક્તિથી કડક પૂછપરછ કરતા તેણે આ સમગ્ર ગુનાની કબૂલાત કરી લીધી હતી. પોલીસે પુરાવાઓના આધારે તરત જ બંને સાચા આરોપીઓની અટકાયત કરી જેમાં અરજણભાઈ ઉર્ફે ભુવા મૈયાભાઈ શિયાળ રહે, સાયલા નવાદગઢ સભાણીપા અને દેવજીભાઈ રામજીભાઈ વિભાભાઈ મીર રહે, સાયલા, જૂના ખાદીભંડાર સામે પોલીસે આરોપીઓ પાસેથી રૂ. ૪,૧૧,૨૫૦ નો મુદ્દામાલ ગાંજો, ૨ મોબાઈલ અને ૧ મોટરસાયકલ કબ્જે કર્યો છે અને તેમના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. સૌથી મહત્વની બાબત એ છે કે, નિર્દોષ ગોપાલભાઈ સભાણી સામે કોઈ ખોટો કેસ ન ચાલે તે માટે પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ૨૦૨૩ ની કલમ-૧૮૯ મુજબ નામદાર કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો હતો. જેના આધારે નામદાર કોર્ટે ગોપાલભાઈ સભાણીને જેલ મુક્ત કરવાનો હુકમ કર્યો છે. આ પ્રશંસનીય અને નિષ્ઠાપૂર્વકની કામગીરી DySP વી.એમ. રબારી સાહેબના માર્ગદર્શન હેઠળ એએસઆઈ હેમુભાઈ સોલંકી, પો.હે.કો. ઈશ્વરભાઈ રંગપરા, વસંતકુમાર સોનારા, હિતેન્દ્રસિંહ વાળા, ધર્મેન્દ્રસિંહ પરમાર, હસમુખભાઈ ડાભી, વિરેન્દ્રભાઈ મેટાલીયા તથા પો.કો. સત્યજીતસિંહ ચુડાસમા, તેજસભાઈ પટેલ અને કૃણાલભાઈ કચીયા દ્વારા કરવામાં આવી હતી.








