વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

વડાપ્રધાનશ્રીના સ્વચ્છતા સંદેશને આત્મસાત્ કરી નગરસેવકોનું અનોખું ઉદાહરણ
માનનીય વડાપ્રધાનશ્રીના વરદ્ હસ્તે નમો કમલમના લોકાર્પણ કાર્યક્રમ બાદ નવસારી મહાનગરપાલિકાના પદાધિકારીઓ તથા નગરસેવકોએ સ્વચ્છતાનો અનોખો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સ્થળ પર પડેલા કચરાનો તાત્કાલિક નિકાલ કરવા જનપ્રતિનિધિઓ સ્વયં સફાઈ અભિયાનમાં જોડાયા હતા.
આ સ્વચ્છતા અભિયાનમાં મેયરશ્રી અશોકભાઈ ધોરાજીયા, ડેપ્યુટી મેયરશ્રીમતી કેયુરીબેન દેસાઈ, સ્થાયી સમિતિના ચેરમેનશ્રી મુકેશ અગ્રવાલ, શાસક પક્ષના નેતાશ્રી નરેશ પુરોહિત, દંડકશ્રી રાકેશભાઈ પટેલ સહિતના પદાધિકારીઓ અને કાર્યકરોએ સ્થળ પર જાતે સફાઈ કામગીરી હાથ ધરી હતી.
સભા દરમિયાન ઉપયોગમાં લેવાયેલા પાણીના ગ્લાસ, કપ, કાગળ તેમજ અન્ય વપરાશની સામગ્રીના કચરાને જનપ્રતિનિધિઓએ જાતે ઉઠાવીને સ્થળને સ્વચ્છ બનાવ્યું હતું. જાહેર કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તાત્કાલિક સફાઈ કામગીરી હાથ ધરવામાં આવતા ઉપસ્થિત લોકોમાં પણ સ્વચ્છતા અંગે જાગૃતિનો સંદેશ પહોંચ્યો હતો.
જનપ્રતિનિધિઓની આ પહેલ દ્વારા ‘સ્વચ્છતા માત્ર તંત્રની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે’તેવો પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો હતો. વડાપ્રધાનશ્રીના સ્વચ્છતાના આહ્વાનને તરત જ અમલમાં મૂકી મહાનગરપાલિકાના પદાધિકારીઓએ ‘કહેવું નહીં, કરીને બતાવવું’ની ભાવનાને સાકાર કરી હતી.
જાહેર કાર્યક્રમો બાદ સ્થળને સ્વચ્છ રાખવા અને નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જવાબદારીની ભાવના વધુ મજબૂત બને તે દિશામાં નવસારી મહાનગરપાલિકાની આ પહેલ નોંધપાત્ર બની રહી છે.










