WAKANER:વાંકાનેરના પીપળીયારાજ ગામે રસ્તેથી પશુઓ સાઇડમાં લેવાનું કહેતા ખેડૂત પર લાકડી વડે હુમલો: પોલીસ ફરિયાદ દાખલ
વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામની સીમમાં સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ આધેડ ખેડૂત પર લાકડી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે ભોગ બનનાર ખેડૂતની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

બનાવની વિગતો અનુસાર, પીપળીયારાજ ગામે રહેતા અને ખેતીકામ કરતા ઈલ્મુદીનભાઈ મામદભાઈ માથકીયા (ઉં.વ. ૪૬) પોતાના પાવર ટીલર સાથે ટ્રોલી જોડીને પત્ની સાથે વાડીએ જઈ રહ્યા હતા. આ દરમિયાન સીમના ગાડા મારગ પર આગળ તેમના જ ગામના હીરાભાઈ જેસાભાઈ ટોટા પોતાના ગાય-બકરાં સહિતના પશુઓ ચરાવીને ધીમે-ધીમે જઈ રહ્યા હતા.
રસ્તો સાંકડો હોવાથી ખેડૂતે આગળ નીકળવા માટે પશુઓને સાઈડમાં લેવા જણાવ્યું હતું. આ સામાન્ય બાબતનું મનદુઃખ રાખી આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો ભાંડી હાથમાં રહેલી લાકડી વડે ઈલ્મુદીનભાઈના માથાના ભાગે જીવલેણ ઘા ઝીંકી દીધો હતો. હુમલા બાદ આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
ઈજાગ્રસ્ત ખેડૂતે આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં હીરાભાઈ ટોટા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.










