
સમીર પટેલ, ભરૂચ

ગુજરાતમાં દારૂબંધીના કડક કાયદા હોવા છતાં ભરૂચ રેલવે સ્ટેશન પરથી વિદેશી દારૂની હેરાફેરીના આક્ષેપો વચ્ચે હવે સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહીથી ચકચાર મચી છે.
ભરૂચ રેલવે સ્ટેશન પર ટ્રેન મારફતે વિદેશી દારૂ લાવવામાં આવતો હોવાના મુદ્દે ન્યૂઝ ફર્સ્ટ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. આ અહેવાલ બાદ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડો પાડવામાં આવતા મોટી માત્રામાં બેગોમાં ભરીને લાવવામાં આવતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હોવાની માહિતી સામે આવી છે.
વલસાડથી ભરૂચ અને આગળ અમદાવાદ સુધી ટ્રેન મારફતે વિદેશી દારૂ પહોંચાડાતો હોવાના આક્ષેપો અગાઉથી ચર્ચાના કે કેન્દ્રમાં રહ્યા હતા. ભરૂચ રેલવે સ્ટેશન પર દારૂની હેરાફેરી અંગે સવાલો ઉઠ્યા બાદ ન્યૂઝ ફર્સ્ટે સમગ્ર મુદ્દાને અહેવાલના માધ્યમથી સવાલ ઉઠાવ્યો હતો. અહેવાલ બાદ હવે SMCની કાર્યવાહી સામે આવી છે, જેમાં રેલવે મારફતે ટ્રોલી બેગોમાં છુપાવીને લાવવામાં આવતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
આ કાર્યવાહી બાદ હવે સૌથી મોટો સવાલ એ છે કે જો ટ્રેન મારફતે આટલી મોટી માત્રામાં દારૂની હેરાફેરી થઈ રહી હતી, તો રેલવે સ્ટેશન પરની તપાસ અને દેખરેખ વ્યવસ્થા ક્યાં હતી? શું દારૂનું આ નેટવર્ક માત્ર એક સ્થળ પૂરતું સીમિત છે કે પછી તેની પાછળ કોઈ મોટું સંગઠિત નેટવર્ક કાર્યરત છે?
અને સૌથી મહત્વનું છે કે વલસાડથી ભરૂચ અને અમદાવાદ સુધી વિદેશી દારૂ કોને કોને પહોચાડવામાં આવતો હતો. અને વિદેશી દારૂનું નેટવર્ક ચલાવનાર મુખ્ય સૂત્રધાર કોણ છે ?
મીડિયાના અહેવાલ બાદ SMCની કાર્યવાહીથી દારૂની હેરાફેરીનો મુદ્દો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. હવે સવાલ માત્ર દારૂનો જથ્થો પકડવાનો નથી, પરંતુ રેલવે માર્ગે ચાલતા કથિત નેટવર્કના મુખ્ય સૂત્રધાર સુધી તપાસ પહોંચે છે કે નહીં, તે જોવું મહત્વનું રહેશે.








