તા.16/09/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના વોર્ડ નંબર 10માં પ્રાથમિક સુવિધાઓની કથળેલી પરિસ્થિતિને કારણે સ્થાનિક રહીશોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. આશ્ચર્યની વાત એ છે કે આ વિસ્તાર મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિખિલભાઈ ચાંપાનેરીનો પોતાનો જ વોર્ડ છે, છતાં પણ તંત્રની ઘોર બેદરકારી સામે આવી રહી છે. સ્થાનિક રહીશ વિજય પ્રજાપતિના જણાવ્યા અનુસાર, વોર્ડ નંબર 10માં આવેલી શેરી નંબર 16, રામેશ્વર મંદિર પાસે તેમજ જૈન ઉપાશ્રયની બિલકુલ બાજુમાં છેલ્લા ઘણા સમયથી ગટરના દૂષિત પાણી રસ્તા પર ફરી વળ્યા છે. ધાર્મિક સ્થળોની આસપાસ જ ગંદકી અને અસહ્ય દુર્ગંધ ફેલાયેલી હોવાથી અહીંથી પસાર થતા રાહદારીઓ, વાહન ચાલકો અને દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગાયબ થયેલા નાળા અને બ્લોક ગટરો ચોમાસા કે વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલા નાળા કેટલીક જગ્યાઓએ બંધ કરી દેવામાં આવ્યા છે. પાલિકા તંત્ર દ્વારા તપાસ કરવા છતાં શહેરી વિસ્તારમાંથી ગાયબ થઈ ગયેલા આ નાળા મળી રહ્યા નથી. નાળા બંધ હોવાને કારણે ગટરો સંપૂર્ણપણે બ્લોક થઈ ગઈ છે અને દૂષિત પાણી સીધા જાહેર રસ્તાઓ પર ઉભરાઈ રહ્યા છે. હાઇપ્રોફાઇલ નેતાના વિસ્તારમાં જ આવી કથળેલી સ્થિતિ હોવાથી તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. સ્થાનિક રહીશોની એક જ માંગ છે કે પાલિકા તંત્ર વહેલામાં વહેલી તકે આ સમસ્યાનું કાયમી નિવારણ લાવે અને લોકોને ગંદકી તેમજ દુર્ગંધમાંથી મુક્તિ અપાવે.









