આગામી તારીખ ૧૫/૦૯/૨૦૨૬ ના રોજ ગણેશ ચતુર્થીનો તહેવાર આવે છે. આ તહેવારના અનુસંધાને જાહેર સુલેહ- શાંતિ, સુખાકારી, સલામતી, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર સાવચેતીનાં પગલા લેવાનું ઈષ્ટ જણાય છે. તેથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી બી.એસ.બારડ, જૂનાગઢ દ્વારા તેમને મળેલ સત્તાની રૂઇએ જૂનાગઢ જિલ્લાના તમામ વિસ્તારમાં અત્રે જણાવ્યા મુજબ અમલવારી કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જણાવ્યા અનુસાર મૂર્તિકારો દ્વારા બનાવવામાં આવતી મૂર્તિઓનાં સ્થળે ગંદકી થાય નહિ રોગચાળો ફેલાય નહિ તેની પુરતી તકેદારી રાખવાની રહેશે. મૂર્તિકારો કે સ્થાપના કરનારએ કોઈપણ ધર્મની ધાર્મિક લાગણી દુભાય તેવા ચિન્હો કે નિશાનીઓ રાખવા નહિ. આ મૂર્તિઓનું જાહેરમાં, નદી, નાળા કે તળાવનાં પાણીમાં વિસર્જન કરવાથી પાણીમાં રહેતા પાણીજન્ય જીવોને તથા મનુષ્યોને નુકશાન થાય છે. જેથી આવી જગ્યાઓએ વિસર્જન કરવું નહિ. શ્રી ગણેશજીની મૂર્તિઓ બનાવવામાં પ્લાસ્ટર ઓફ પેરીસ (પી.ઓ.પી.) મટીરીયલનો ઉપયોગ કરવો નહિ કે કેમિકલ્સવાળા રંગોનો ઉપયોગ કરવો નહિ. શ્રી ગણેશજીની મૂર્તિ નવ ફુટ બેઠક સહિતથી ઉંચી રાખી શકાશે નહિ કે આવી મોટી મૂર્તિઓની સ્થાપના કરી શકાશે નહિ. તેમજ સ્થાનિક સત્તામંડળ દ્વારા નજીકમાં કૃત્રિમ વિસર્જન કુંડ બનાવવાનાં રહેશે. શ્રી ગણેશ વિસર્જન માટે સંબંધિત સત્તાધિકારીશ્રી પાસેથી પૂર્વ મંજુરી મેળવવાની રહેશે. પરંપરાગત અને મંજુરીમાં જણાવ્યા અનુસારના રૂટ ઉપર જ લોકોએ વિસર્જન કરવા માટે જવાનું રહેશે.પૂર્વમંજુરી મેળવ્યા વિના જાહેર માર્ગો ઉપર પરિવહન કરી શકાશે નહિ. આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યકિત નિયમ અનુસાર શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામું આગામી તારીખ ૨૬/૦૯/૨૦૨૬ સુધી અમલમાં રહેશે
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ







