વિજાપુરમાં બે કલાકમાં સવા ઇંચ વરસાદ, શહેરમાં પાણી ભરાયા શાળાઓ બંધ રહી, બજારો મોડા ખુલ્યા; મોતીપુરા ગરનાળામાં વરસાદ બંધ થયાના બે કલાક બાદ પણ પાણી, વાહનચાલકો પરેશાન

oppo_0વાત્સલ્યમ સમાચાર સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેરમાં વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં બે કલાકમાં સવા ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પર અસર જોવા મળી હતી.
વરસાદને પગલે શહેરની શાળાઓ બંધ રહી હતી. જ્યારે બજારોમાં પણ વરસાદની અસર જોવા મળી હતી અને અનેક દુકાનો સમયસર ખુલી નહોતી. વરસાદી માહોલના કારણે રસ્તાઓ પર સામાન્ય દિવસોની સરખામણીએ અવરજવર ઓછી જોવા મળી હતી.ચક્કર-દોશીવાડા રોડ પર ખુલ્લી ગટરોને પગલે અકસ્માતનો ભય ચક્કર ખત્રીકુવા વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને મુશ્કેલી પડી હતી. ચક્કરથી દોશીવાડા તરફ જતા રોડ પર ગટરો ખુલ્લી થઈ જતાં વાહનચાલકો માટે અકસ્માતનો ભય ઉભો થયો હતો. મોતીપુરા ગરનાળામાં પાણી ભરાવાની સમસ્યા યથાવત વિસનગર રોડ પર મોતીપુરા ગામ નજીક આવેલા ગરનાળામાં વરસાદ બંધ થયાના બે કલાક બાદ પણ પાણી ભરાયેલું જોવા મળ્યું હતું. બપોરે 12 વાગ્યે વરસાદ બંધ થયા બાદ પણ ગરનાળામાં પાણીનો નિકાલ ન થતાં વાહનચાલકોને ભારે હાલાકી પડી હતી.સ્થાનિકોના જણાવ્યા મુજબ ગરનાળામાં પાણી ભરાય ત્યારે રેલવે તંત્રને વારંવાર ફોન કર્યા બાદ જ તંત્ર હરકતમાં આવે છે અને પાણી બહાર કાઢવા માટે મોટર મૂકવામાં આવે છે. પાણી ભરાવાના કારણે અગાઉ અનેક વાહનોને નુકસાન થયું હોવાની પણ ફરિયાદો ઉઠી છે. ખાસ કરીને આ માર્ગ પરથી પસાર થતા વિદ્યાર્થીઓને શાળાએ જવા-આવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મોતીપુરા ગરનાળામાં પાણીના કાયમી નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે.









