વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ
NAU સહિત 12 હોસ્ટેલ મેસ-કેન્ટીનમાં સઘન તપાસ | 4 ઈમ્પ્રૂવમેન્ટ નોટિસ ફટકારી | 5.7 કિલો અયોગ્ય ખાદ્યસામગ્રીનો સ્થળ પર નાશ | 10 ખાદ્ય નમૂના પરીક્ષણ માટે લેવાયા
વિદ્યાર્થીઓને પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તા અને રસોડાની સ્વચ્છતા અંગે ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા નવસારી જિલ્લામાં સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. માનનીય આરોગ્ય મંત્રીશ્રીની સૂચના તથા કમિશનરશ્રી, ફૂડ સેફ્ટીના માર્ગદર્શન હેઠળ નવસારી કૃષિ યુનિવર્સિટી (NAU) તથા આસપાસની વિવિધ હોસ્ટેલ મેસ અને કેન્ટીનમાં અચાનક તપાસ કરવામાં આવી હતી.
ફૂડ સેફ્ટી ટીમ દ્વારા કુલ 12 મેસ, હોસ્ટેલ અને કેન્ટીનની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ખાદ્યસામગ્રીની ગુણવત્તા તેમજ રસોડાની સ્વચ્છતા સંબંધિત ખામીઓ જણાતા સંબંધિત સંચાલકોને કુલ 4 ઈમ્પ્રૂવમેન્ટ નોટિસ આપવામાં આવી હતી.
તપાસ દરમિયાન અયોગ્ય તથા અનુપયોગી જણાયેલી કુલ 5.7 કિલોગ્રામ ખાદ્યસામગ્રીનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. જેમાં વરિયાળી, ફ્રોઝન સમોસા અને ક્રિસ્ટલ સોલ્ટનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત વિદ્યાર્થીઓને પીરસવામાં આવતા ભોજન અને અન્ય ખાદ્યસામગ્રીની ગુણવત્તા ચકાસવા માટે કુલ 10 ખાદ્ય નમૂનાઓ લેવામાં આવ્યા છે. આ તમામ નમૂનાઓનું નિયમોનુસાર પરીક્ષણ કરવામાં આવશે અને તેના પરિણામના આધારે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
વિદ્યાર્થીઓને સુરક્ષિત, ગુણવત્તાસભર અને સ્વચ્છ ભોજન મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા આવી તપાસ અને મોનિટરિંગની કામગીરી નિયમિતપણે ચાલુ રાખવામાં આવશે. મેસ-હોસ્ટેલ અને કેન્ટીન સંચાલકોને પણ ખાદ્યસામગ્રીના સંગ્રહ, ભોજનની ગુણવત્તા અને રસોડાની સ્વચ્છતા અંગે જરૂરી નિયમોનું પાલન કરવા તંત્ર દ્વારા ભાર મૂકવામાં આવ્યો છે.









