તા.06/09/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

ઝગમગતી રોશની, ચકડોળનો ધમધમાટ અને લોકોના ઉત્સાહ વચ્ચે સુરેન્દ્રનગરના લોકમેળામાં રંગેચંગે માનવ મહેરામણ ઉમટ્યો હતો. પરંતુ ૫ સપ્ટેમ્બર ૨૦૨૬ની રાત્રે આ મનોરંજક માહોલમાં એકાએક ચિંતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો, જ્યારે ભીડના કોલાહલમાં બે અલગ- અલગ માસૂમ બાળકો પોતાના માતા-પિતાથી વિખૂટા પડી ગયા હતા રાત્રિના સમયે મેળાની રોશની વચ્ચે ૩ વર્ષીય બે બાળકી રાજવી અને ૩ વર્ષીય જૈનબ અજાણ્યા ચહેરાઓ વચ્ચે એકલા પડી જતા ગભરાઈને રડવા લાગ્યા હતા. ભીડમાં પોતાના કાળજાના ટુકડા ગુમ થતાં તેમના માતા- પિતાના જીવ તાળવે ચોંટી ગયા હતા. તે જ સમયે મેળામાં સુરક્ષા અને વ્યવસ્થા જાળવી રહેલા સુરેન્દ્રનગર સિટી ‘એ’ ડિવિઝનના એએસઆઈ સલીમભાઈ કુરેશી, પોલીસ કોન્સ્ટેબલ ચેતનભાઈ, હેડ કોન્સ્ટેબલ શિવાનીબેન જોષી, મનિષાબેન તેમજ હોમગાર્ડ જવાન અને એડવોકેટ રૂસ્તમભાઈ પીલુડિયાની નજર આ ગભરાયેલા માસૂમ બાળકીઓ પર પડી. પોલીસ અને હોમગાર્ડ જવાનોએ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર ત્વરિત સતર્કતા દાખવી. તેમણે બાળકીઓને વહાલથી સાંત્વના આપી, પાણી પીવડાવીને સુરક્ષિત રીતે ‘લોકમેળા પોલીસ ચોકી’ ખાતે પહોંચાડ્યા. એક તરફ જવાનો બાળકોને શાંત રાખી રહ્યા હતા, તો બીજી તરફ તાત્કાલિક માઈક એનાઉન્સમેન્ટ અને પેટ્રોલિંગ ટીમો મારફતે વાલીઓની શોધખોળ શરૂ કરી દેવામાં આવી હતી જવાનોની ત્વરિત કામગીરી અને સતર્કતાના પરિણામે ટૂંક સમયમાં જ રાજવીના પિતા સુનિલભાઈ મયુરભાઈ રીબડીયા તથા જૈનબના પિતા બાસીદભાઈ બાવુદીનભાઈ ખોજાણી ગભરાયેલી હાલતમાં શોધતા શોધતા પોલીસ ચોકી પર પહોંચ્યા હતા પોલીસ અને હોમગાર્ડની ટીમે જરૂરી પૂછપરછ, ઓળખ અને યોગ્ય ખાતરી કર્યા બાદ રાજવી અને જૈનબ બંને બાળકીઓ તેમના પિતાના ખોળામાં સુરક્ષિત રીતે સોંપ્યા હતા પોતાના બાળકોને સહી સલામત જોઈને માતા- પિતાની આંખોમાંથી હરખના આંસુ છલકાઈ ગયા અને તેમણે રાહતનો શ્વાસ લીધો હતો તહેવારના માહોલમાં પોલીસ અને હોમગાર્ડ જવાનોએ દાખવેલી આ ત્વરિત સતર્કતા, સંવેદનશીલતા અને માનવતાભર્યા વલણે ખાખીનો એક સુંદર અને સંવેદનશીલ ચહેરો ઉપસાવ્યો, જેણે “માનવ સેવા એ જ ઉત્તમ સેવા”ના સૂત્રને ખરા અર્થમાં સાર્થક કર્યું હતું.








