વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને દરેક બાળકને પોતાની પ્રતિભા વિકસાવવાની સમાન તક મળે તેવા ઉમદા હેતુ સાથે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વિવિધ પ્રેરણાદાયી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આહવા સ્થિત સરકારી માધ્યમિક શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આશરે 1700 વંચિત બાળકોને પ્રોત્સાહિત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ડાંગ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ અભિયાન અંતર્ગત જિલ્લાની વિવિધ શાળાઓમાં ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા સહિતની સર્જનાત્મક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ યોજાઈ હતી. બાળકોએ ચિત્રોના માધ્યમથી પોતાની કલ્પનાશક્તિ વ્યક્ત કરી હતી, જ્યારે વક્તૃત્વ સ્પર્ધામાં શિક્ષણ, સમાજ અને વિકાસ જેવા વિષયો પર આત્મવિશ્વાસપૂર્વક પોતાના વિચારો રજૂ કર્યા હતા.શિક્ષણ સાથે આત્મવિશ્વાસનો સંચાર થયો. અભિયાનનો મુખ્ય ઉદ્દેશ શિક્ષણપ્રવાહથી દૂર રહેલા બાળકોને ફરીથી શિક્ષણની મુખ્યધારામાં જોડવાનો તેમજ તેમનામાં આત્મવિશ્વાસ, સર્જનાત્મકતા અને આગળ વધવાની પ્રેરણા જગાવવાનો રહ્યો હતો. બાળકોના સન્માન અને પ્રોત્સાહનથી સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું.આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી જીગ્નેશ ત્રિવેદી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વિજય દેશમુખ, તેજસ્વી સંસ્કૃતિ ધામ (વસુર્ણા)ના પરમ પૂજ્ય હેતલ દીદી, આહવાના સરપંચ હરીરામ સાવંત, ભારતીય જનતા પાર્ટી મંડળ પ્રમુખ નકુલ જાદવ સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓ, શિક્ષકો, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.જિલ્લાભરની શાળાઓમાં યોજાયેલી આ પ્રવૃત્તિઓથી બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ‘સેવા સંકલ્પ અભિયાન’ શિક્ષણની સાથે બાળકોના સર્વાંગી અને સર્જનાત્મક વ્યક્તિત્વ વિકાસ તરફનું મહત્વપૂર્ણ પગલું બની રહ્યું છે.










