TANKARA:ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો ₹2.47 લાખના દાગીના ઉઠાવી ગયા
ટંકારા શહેરની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં ધોળા દિવસે ચોરીની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. બંધ મકાનમાં પ્રવેશી અજાણ્યા તસ્કરો લોખંડના કબાટના તાળાં તોડીને સોના-ચાંદીના કિંમતી દાગીના તેમજ તેના બિલ સહિત કુલ ₹2.47 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા છે.


મળતી વિગતો મુજબ, લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા સુનીલભાઈ મોહનભાઈ રાઠોડના બંધ રહેણાંક મકાનમાં દિવસ દરમિયાન અજાણ્યા ચોર ઈસમોએ ગુપ્ત રીતે પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ રૂમમાં રાખેલા લોખંડના કબાટનું લોક તોડી અંદર રાખેલા કિંમતી ઘરેણાંની ચોરી કરી હતી.
ચોરી થયેલા મુદ્દામાલની વિગત:
ચાંદીના દાગીના: પગમાં પહેરવાની કળી (૧ જોડ), ચાર લાઈનવાળા છળા (૧ જોડ), મોટા સાંકળા (૧ જોડ), નાના સાંકળા (૧ જોડ) તેમજ ૧ મંગળસૂત્ર મળી કુલ આશરે ૯૯૮ ગ્રામ ચાંદી (કિંમત ₹૧,૩૮,૬૦૦).સોનાના દાગીના: સોનાની પાનબુટી (૧ જોડ), વજન આશરે ૯ ગ્રામ (કિંમત ₹૧,૦૯,૦૦૦).તસ્કરો સોના-ચાંદીના કુલ ₹૨,૪૭,૬૦૦ના ઘરેણાં તેમજ તેના ખરીદીના બિલની પણ ચોરી કરી ગયા હતા. આ બનાવ અંગે સુનીલભાઈ રાઠોડે ટંકારા પોલીસ મથકે અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી, સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું મેળવવા આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.








