CAA એટલે સિટીઝનશિપ ઍમેન્ડમૅન્ટ ઍક્ટ-2019. આ કાયદો 11 માર્ચ 2024ના રોજ લાગુ કરવામાં આવ્યો છે. સિટીઝનશિપ એક્ટ 1955માં સુધારો કર્યો છે.
CAA હેઠળ હવે 31 ડિસેમ્બર 2014, પહેલાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી એટલે કે માત્ર આ ત્રણ દેશોમાંથી ધાર્મિક ઉત્પીડનના કારણે ભારત આવેલા બિનમુસ્લિમ લઘુમતીઓને ભારતનું નાગરકિત્વ મળી શકશે. પરંતુ મુસ્લિમોને ભારતનું નાગરિત્વ નહીં મળે.
એટલે કે CAA લાગુ કરવાથી આ ત્રણ દેશોમાંથી આવેલા હિંદુ, બૌદ્ધ, જૈન, શીખ, પારસી અને ખ્રિસ્તી લઘુમતીઓને ભારતની નાગરિકતા મળી શકશે. ટૂંકમાં CAA પહેલાં ભારતમાં આવેલા બિનમુસ્લિમોને દેશનિકાલની કે કેદની સજા થતી હતી, હવે તેમને નાગરિકતા મળશે ! CAA હેઠળ જેમની પાસે કોઈ દસ્તાવેજ નથી, તેઓ ઓછામાં ઓછાં છ વર્ષ સુધી ભારતમાં રહ્યા હોય તો તેમને ભારતીય નાગરિકતા મળી શકે છે. 31 ડિસેમ્બર 2014 પહેલાં ભારત આવેલા લોકોનેય ભારતની નાગરિકતા મળી શકશે.
તો પછી CAAનો વિરોધ કેમ? આ ત્રણ દેશોમાંથી જો મુસ્લિમો ભારત આવે તો તેમને ભારતની નાગરિકતા નહીં મળે ! એટલે કે ધર્મના આધારે ભેદભાવ કર્યો છે તેથી CAAનો વિરોધ થઈ રહ્યો છે. CAA, ધર્મનિરપેક્ષતાના/ બિનસાંપ્રદાયિકતાના મૂલ્યનું ઉલ્લંઘન કરે છે. CAA ધાર્મિક ભેદભાવને કાનૂની માન્યતા આપે છે ! CAA હેઠળ શ્રીલંકામાં મુશ્કેલીઓનો સામનો કરી રહેલા શ્રીલંકન તામિલને લાભ નહીં મળે !
NRC શું છે? NRC અને CAA સાથે કોઈ સંબંધ છે? NRC એટલે નૅશનલ રજિસ્ટર ઑફ સિટીઝન. NRCનો હેતુ આસામમાં રહેતા ગેરકાયદેસર ઇમિગ્રન્ટોની ઓળખ કરવાનો છે. આ માટેની નિશ્ચિત કરાયેલ તારીખ 24 માર્ચ 1971 હતી. NRC મુજબ આસામમાં વસતી દરેક વ્યક્તિએ એ સાબિત કરવાનું રહેશે કે તેઓ આ સમયગાળા પહેલાંથી ભારતમાં રહે છે. ટૂંકમાં બાંગલા દેશમાંથી આવેલા હજારો હિન્દુઓ NRC મુજબ બાકાત રહે તે CAA હેઠળ ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત કરીને, આસામમાં રહી શકશે. આસામ, બાંગલાદેશ સાથે 263 કિલોમીટર સરહદથી જોડાયેલ છે. આસામમાં CAA સામે આંદોલન શરુ થયું છે. આસામના લોકો માને છે કે ‘1985માં કેન્દ્ર સરકાર અને AASU સાથે આસામ સમજૂતી થયેલ, તેનો CAA ભંગ કરે છે.’
સત્તાપક્ષની દલીલ છે કે “પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ એ મુસ્લિમ બહુમતીવાળા દેશ છે, ઇસ્લામિક દેશ છે. ત્યાં રહેતા લઘુમતીઓને એટલે કે હિન્દુઓને સુરક્ષાની જરૂર છે.” સત્તાપક્ષની આ દલીલ ગળે ઊતરે તેમ નથી. સુરક્ષા આપો, કોણ ના પાડે છે? પણ ધર્મ આધારિત ભેદભાવ શા માટે? શું ગુણ-દોષ/ગુણવત્તાના આધારે નાગરિકતા આપવી કે નહીં, તેનો નિર્ણય ન થઈ શકે? માની લો કે ધર્મના આધારે ભેદભાવ કરવાની જોગવાઈ USA/કેનેડા/ UK/ ઓસ્ટ્રેલિયા/ ન્યૂઝીલેન્ડ વગેરે દેશો કરે તો હિન્દુઓને આંચકો લાગે કે નહીં?
CAA ને 12 ડીસેમ્બર 2019ના રોજ રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી હતી, આટલા લાંબા વિલંબ બાદ હવે લોકસભાની ચૂંટણી પહેલા લાગુ કરવાનો હેતુ શો છે? બહુમતી હિન્દુઓના મત મેળવવાનો એટલે કે ધૃવીકરણનો મુખ્ય હેતુ છે. બેરોજગારી/ મોંઘવારી/ આર્થિક નિષ્ફળતાઓના મુદ્દાઓને ઢાંકવાનો છે. સુપ્રિમકોર્ટે રામમંદિરનો ચૂકાદો આપ્યો ત્યારે લાગ્યું હતું કે હવે હિન્દુ- મુસ્લિમ નફરતનો મુદ્દો પૂરો થઈ ગયો છે. પરંતુ સતાપક્ષને લાગ્યું કે જો નફરત શરુ નહીં રાખીએ તો લોકો વાસ્તવિક મુદ્દાઓની ચર્ચા કરશે, જે સત્તાથી દૂર કરી દે ! એટલે જ CAAનું ગતકડું ઊભું કર્યું છે ! ધર્મ આધારિત ભેદભાવ કરનારા કાયદા સામે સુપ્રિમકોર્ટમાં પીટિશન થાય, તેની સત્તાપક્ષને ખબર છે, પરંતુ તેમને મોટો ફાયદો એ થશે કે આ દરમિયાન ચૂંટણીમાં ભવ્ય વિજય મળી જશે !rs