આમ આદમી પાર્ટી (AAP)ના નેતા સંજય સિંહને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે. સુપ્રીમ કોર્ટે સંજય સિંહની જામીન અરજી પર સુનાવણી કરતા EDને કેટલાક સવાલ પૂછ્યા હતા. સુપ્રીમ કોર્ટે તપાસ એજન્સીને પૂછ્યુ હતું કે સંજય સિંહ 6 મહિનાથી જેલમાં છે અને તેમની પાસેથી કોઇ પૈસા મળ્યા નથી. હજુ પણ ED સંજય સિંહને કસ્ટડીમાં રાખવા માંગે છે, તેમણે કસ્ટડીમાં રાખવા કેમ જરૂરી છે.કોર્ટના ચુકાદા અનુસાર, સંજય સિંહ રાજકીય ગતિવિધિઓમાં પણ ભાગ લઇ શકશે.
સુપ્રીમ કોર્ટમાં ત્રણ જજ સંજીવ ખન્ના, ન્યાયમૂર્તિ દીપાંકર દત્તા અને ન્યાયમૂર્તિ પીબી વરાલેની બેન્ચ આ કેસની સુનાવણી કરતી હતી. બેન્ચે EDને પૂછ્યુ કે સંજય સિંહને હવે જેલમાં રાખવાની કેમ જરૂર છે? કોર્ટને સંજય સિંહના વકીલે જણાવ્યું હતું કે મની લૉન્ડ્રિંગ કેસની પૃષ્ટી થઇ નથી અને મની ટ્રેલની પણ ખબર પડી નથી, તેમ છતા સંજય સિંહ 6 મહિનાથી જેલમાં છે.
સુપ્રીમ કોર્ટ મની લૉન્ડ્રિંગ મામલે પોતાની ધરપકડ અને રિમાન્ડને પડકાર આપતી સંજય સિંહની અરજી પર સુનાવણી કરતી હતી. સુપ્રીમ કોર્ટની બેન્ચે આમ આદમી પાર્ટીના સાંસદના વકીલની દલીલ પર માન્યુ કે સંજય સિંહ પાસેથી કોઇ પૈસા જપ્ત થયા નથી અને તેમના પર બે કરોડ રૂપિયા લાંચ લેવાના આરોપોની તપાસ કરવામાં આવી શકે છે.
મહત્ત્વપૂર્ણ છે કે 19 જુલાઇ 2023માં અપ્રૂવર બનેલા દિનેશ અરોરાના નિવેદન પર પ્રથમ વખત સંજય સિંહનું નામ સામે આવ્યું હતું. સંજય સિંહે ED વિરૂદ્ધ માનહાનીની ફરિયાદ કરી હતી અને પછી EDએ તેમની કોઇ સમન્સ વગર ધરપકડ કરી હતી. હાઇકોર્ટે સાત ફેબ્રુઆરીએ સંજય સિંહની જામીન અરજી ફગાવી હતી પરંતુ નીચલી અદાલતને સુનાવણી શરૂ થવા પર તેમાં ઝડપ લાવવાનો આદેશ આપ્યો હતો. સંજય સિંહ દિલ્હીથી રાજ્યસભા માટે ફરી સાંસદ ચૂંટાયા છે. તપાસ એજન્સીએ સંજય સિંહની ચાર ઓક્ટોબર, 2023માં ધરપકડ કરી હતી.