ઝઘડિયા તાલુકામાં તસ્કરોનો વધતો ત્રાસ-ઉમલ્લા અને અછાલિયામાં મકાનોના તાળા તુટ્યા.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં વધતા જતા ચોરીના બનાવોને લઇને જનતા ચિંતિત બની છે. તાલુકામાં અગાઉ તેમજ થોડા સમય દરમિયાન થયેલ ઘરફોડ ચોરીઓમાં તસ્કરો લાખો રુપિયાનો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા. ભુતકાળમાં થયેલ મોટાભાગની ચોરીઓના ભેદ હજુ વણ ઉકલ્યા રહ્યા છે. આ બધી ચોરીઓમાં થોડા વર્ષ અગાઉ અછાલિયા ગામે થયેલ રુપિયા ૨૫ લાખની મતાની ચોરી સહુથી મોટી ચોરી છે,અને આ ચોરીની ઘટના બાદ તેના આઘાતથી ઘરના મોભીનું હાર્ટ એટેકથી મોત થયું હતું. જોકે અન્ય ચોરીઓની જેમજ અછાલિયાની આ ૨૫ લાખ રુપિયાના મુદ્દામાલની ચોરી પણ ભુતકાળ બની ગઇ છે. લાંબા સમય બાદ પણ તાલુકામાં અછાલિયા સહિતની વિવિધ ગામોએ થયેલ ચોરીઓના ભેદ હજી વણ ઉકલ્યા રહ્યા છે. ત્યારે હાલમાં તાલુકાના ઉમલ્લા દુ.વાઘપુરા ગામે પણ બે મકાનોના તાળા તુટ્યા હતા,અને તસ્કરો આ મકાનોમાંથી અમુક સામાન ઉઠાવી ગયા હતા,જોકે આ મકાનોમાંથી કેટલો સામાન ચોરાયો તેની કોઇ સત્તાવાર વિગતો મળી નથી. ઉપરાંત ઉમલ્લા નજીકના અછાલિયા ગામે પણ રાત્રી ચોરોએ ત્રણ બંધ મકાનોને નિશાન બનાવ્યા હતા. મળતી વિગતો મુજબ અછાલિયા ગામે મોટા રાવ ફળિયામાં રહેતા પ્રજ્ઞાબેન ખુમાનસિંહ રાવ તેમના માતા બિમાર હોઇ અમદાવાદ સારવાર કરાવવા લઇ ગયા હોવાથી તેમનું મકાન બંધ હતું,જ્યારે આજ ફળિયામાં પ્રગ્નેશભાઇ અરવિંદભાઇ રાવનું મકાન પણ તેઓ બહાર રહેતા હોઇ બંધ હતું. આ બન્ને બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા,જોકે આ મકાનોમાંથી તસ્કરો કોઇપણ સામાન ઉઠાવી જવામાં સફળ થયા નહતા. ઉપરાંત અછાલિયાના નાના રાવ ફળિયામાં રહેતા પરસોત્તમભાઇ સંઘાણીનું પરિવાર થોડા દિવસથી બહાર ગયેલ હોઇ તેમના બંધ મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવી તાળુ તોડ્યું હતું. ઝઘડિયા તાલુકામાં હાલ વધતા જતા ચોરીના બનાવોને લઇને જનતા ચિંતિત બની છે. ચોરીની કેટલીક ઘટનાઓ પોલીસ ફરિયાદ નહિ થતાં પ્રકાશમાં નથી આવતી. ત્યારે તાલુકામાં વધી રહેલા ચોરીના બનાવોને વધતા અટકાવવા પોલીસ રાત્રી પેટ્રોલિંગ સઘન બનાવે તેવી માંગ લોકોમાં ઉઠવા પામી છે.
ઈરફાન ખત્રી
રાજપારડી