નર્મદા પરિક્રમા કરવા આવતા શ્રદ્ધાળુઓ માટે આરોગ્ય વિભાગની ટીમ ખડે પગે, બેને નવજીવન મળ્યું
પરિક્રમા કરી રહેલા યુવકને ખેંચ આવતા તાત્કાલિક સારવાર આપી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો : ૭૩ વર્ષિય વૃધ્ધને છાતીમાં દુઃખાવો થતાં NDRFની મદદ લઈ આરોગ્યની ટીમે સારવાર આપી
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લામાં માં નર્મદાની ઉત્તર વાહિની પરિક્રમા અર્થે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી રહ્યા છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા નિમણુક કરાયેલ જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ૨૪X૭ કલાક ભાવિક ભક્તોના આરોગ્યની કાળજી રાખી રહ્યા છે.
નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે બે પરિક્રમાર્થીઓને નવજીવન બક્ષી એક યુવાનને ભયંકર પીડામાંથી મુક્તિ અપાવી છે. જેમાં તા.૧૦/૪/૨૦૨૪ના પી.એચ .સી લાછરસની ટીમ રણછોડજી મંદિર – રામપરા ખાતે ફરજ પર હતી. તે દરમિયાન મુકેશભાઈ બચુભાઈ તડવી નામના યુવકને બપોરે ૧૨.૪૫ ના ગાળામાં અચાનક ખેંચ આવી હતી. સ્થળ પર હાજર મેડિકલ ટીમ દ્વારા તત્કાલિત પ્રાયમરી મેનેજમેન્ટ કરીને એમ્બ્યુલન્સમાં સારવાર આપી દર્દીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ-રાજપીપલામાં દાખલ કરાયા હતા. સિવિલ હોસ્પિટલમાંથી મળતા અહેવાલ અનુસાર દર્દી હાલમાં સ્વસ્થ છે.
બીજા એક બનાવમાં સવારે આશરે ૧૦ કલાકે રેંગણ ઘાટ ખાતે મહારાષ્ટ્રના પુનાના વતની શ્રી બીરેન્દ્ર ફડનવીસ (ઉ. વ. આ.૭૩)ને પરિક્રમા દરમિયાન છાતીમાં દુઃખાવો અને ગભરામણની તકલીફ થતી હોવાનું આરોગ્ય ટીમના ધ્યાને આવ્યું હતું. સ્થળ પર હાજર NDRFની ટીમની મદદ સાથે બોટથી દર્દીને રેંગણ કેમ્પ પર લાવી પ્રાથમિક સારવાર આપી હતી. બાદમાં SDH હોસ્પીટલ-ગરુડેશ્વર ખાતે દર્દીને સ્ટેબલ કરી વધુ સારવાર માટે GMERS હોસ્પિટલ રાજપીપલા ખાતે રિફર કરાયા હતા. જ્યાં હાર્ટની તકલીફ હોવાનું નિદાન થતાં ત્યાંથી વડોદરા હાયર સેન્ટર ખાતે રેફર કરવામાં આવ્યા છે.
ત્રીજા બનાવમાં નસવાડી તાલુકાના તણખલા ગામના વતની 36 વર્ષિય ભાવેશભાઈને પરિક્રમા દરમિયાન ચાલતી વખતે અચાનક દુઃખાવો ચાલુ થયો હતો. તેમણે પથરીના દુઃખાવા અંગે આરોગ્ય વિભાગની ટીમને ફૉન કરતા એમ્બ્યુલન્સ અને સ્ટાફ સાથે સ્થળ પર પહોંચી પ્રાથમિક સારવાર આપી હતી. બાદમાં તેમને તિલકવાડા CHC ખાતે દાખલ કરી જરૂરી સારવાર આપવામાં આવી હતી. આમ નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગની ટીમો પરિક્રમા દરમિયાન સતત ખડે પગે રહી સરાહનીય કામગીરી કરી રહી છે.