પગાર નહીં ચુકવાતા શ્રમિકોની હાલત કફોડી બની છે
વાંસદા તાલુકામાં આવેલી તમામ ગ્રામ પંચાયતમાં મનરેગા યોજના હેઠળ ગ્રામીણ કુંટુંબના પુખ્ત સભ્યોને રોજગારીની જરૂરત હોય તેવા ગરીબ કુંટુંબને મનરેગા યોજના હેઠળ કામગીરી કરાવી 100 દિવસની રોજગારી આપવાની સરકાર બાંહેધરી આપે છે પરંતુ શ્રમ કર્યા બાદ છેલ્લા ચાર માસથી મજૂરોને પગાર નહીં મળતા મુશ્કેલીમાં મુકાયા છે. જેને લઇ મજૂરોની લગ્ન સિઝન બગડી રહી છે.
વાંસદા તાલુકા પંચાયત દ્વારા તમામ ગ્રામ પંચાયતોમાં સરકાર દ્વારા ગ્રામીણ કુંટુંબોના પુખ્ત સભ્યો જેમને રોજગારીની જરૂરત હોય અને શ્રમ કરવા માંગતા હોય તેમને નાણાંકીય વર્ષમાં 100 દિવસની રોજગારી પૂરી પાડવાની કાયદેસરની બાંહેધરી સરકાર આપે છે. આ આયોજન 2જી ફેબ્રુઆરી 2006થી અમલમાં આવ્યો હતો. આ યોજના હેઠળ ઘણાં ગરીબ કુટુંબો રોજગારી મેળવતા હોય છે અને તેનાથી મળતા પગારથી ઘરખર્ચ ચલાવતા હોય છે. આ વિસ્તારમાં બીજી કોઈ ફેકટરી કે કારખાના નથી કે જેના થકી તેઓ રોજગારી મેળવી શકે.
તાલુકાની તમામ ગ્રામ પંચાયતમાં મનરેગા યોજના હેઠળ ઘણાં શ્રમિકો મજૂરી કરી હતી અને સામે હોળીના તહેવારમાં પણ મજૂરોને મજુરી આપી નહીં. છેલ્લા ચાર માસથી સરકાર દ્વારા પગાર નહીં કરાતા શ્રમિકોની હાલત કફોડી બની છે, કેમ કે આ વિસ્તારના મજૂરો માત્ર મજૂરી ઉપર નિર્ભર રહેતા હોય છે પરંતુ છેલ્લા ચાર માસથી મનરેગા યોજનામા કરેલી મજુરીના રૂપિયા નહીં મળતા તેઓની લગ્નસરાની સિઝન બગડવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે