કેટલાંક ભક્તોને/ ગોડસેવાદીઓને એવો ભ્રમ છે કે વડાપ્રધાને લોકોની બહુ સેવા કરી છે; વિશ્વમાં ભારતનો ડંકો વગાડી દીધો છે; વિકલ્પ કોઈ નથી, તેમના પેંગડામાં કોઈ પગ નાખી શકે તેમ નથી; એટલે તેમને લોકો ખોબલે ખોબલે મતો આપે છે ! પરંતુ વાસ્તવિકતા શું છે?
અનહદ સંસ્થાના સ્થાપક અને જાણીતા માનવ અધિકાર ડિફેન્ડર શબનમ હાશમીએ 19 એપ્રિલ 2024ના રોજ ગાંધીનગર લોકસભા બેઠની ચૂંટણીમાં આદર્શ આચાર સંહિતાના ભંગ બાબતે ચીફ ઈલેક્શન કમિશ્નર રાજીવ કુમારને પત્ર લખ્યો છે. તેના મુખ્ય મુદ્દાઓ : “[1] 14-18 એપ્રિલ દરમિયાન ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં સાબરમતી, સાણંદ, વેજલપુર, કલોલ, ઘાટલોડિયા અને નારણપુરા વિધાનસભા મતવિસ્તાર આવે છે તે વિસ્તારની મેં મુલાકાત લીધી હતી. 200 થી વધુ સમુદાયના નેતાઓ, લોકો અને વિદ્યાર્થીઓ સાથે મેં વાત કરી. સોનલ પટેલ ઈન્ડિયા એલાયન્સના ઉમેદવાર કોંગ્રેસની ટિકિટ પર લડી રહ્યા છે. સ્થાનિક પોલીસ સ્ટેશનના PI/ ACP/ SP/ રેન્જ IG દ્વારા કોંગ્રેસનું સમર્થન કરતા લોકોને બોલાવવામાં આવે છે. આ જ વિસ્તારમાં અગાઉ PI રહી ચૂકેલા ACPને મૂકવામાં આવ્યા છે ! તેમણે લોકોને કોંગ્રેસનો પ્રચાર કરશો તો આકરાં પગલાંનો સામનો કરવો પડશે તેવી ધમકીઓ આપેલ છે. [2] મુસ્લિમ/ દલિતના મતો કાપવા માટે કેટલાંક મુસ્લિમોને/દલિતોને અપક્ષ ઉમેદવાર તરીકે ઊભા રાખવાની ફરજ પાડવામાં આવી છે ! [3] કર્ણાવતી ક્લબ ખાતે સમાજના આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી જેમાં ક્રાઈમ બ્રાન્ચ, SOGના અધિકારીઓ હાજર હતા. તે સમયે મુસ્લિમ સમુદાયના કેટલાંક લોકોને કોંગ્રેસ માટે પ્રચાર ન કરવા ભારપૂર્વક કહેવામાં આવ્યું હતું. અને કહ્યું હતું કે ‘ઘેર રહેજો, ચિકન/ મછલી ખાઓ, જરુર હોય તો મોકલાવી દઈશું !’ BJPના MLA હાજર હતા તેમણે મુસ્લિમોને અપક્ષ તરીકે ઊભા રહેવા માટે નાણાની ઓફર કરી હતી. મુસ્લિમ આગેવાનોને કહેવામાં આવ્યું કે ‘નિષ્ક્રિય થઈ જાવ. પંગા શામાટે લો છો? કોંગ્રેસની ઉમેદવાર જીતવાની નથી. બધાં ધારાસભ્યો અને કોર્પોરેટરો BJPના છે ! અમિત શાહ દેશના મોટા નેતા છે. એમનું સ્વપ્ન છે કે દેશમાં સૌથી વધુ માર્જિનથી જીતવું ! તેમની ઈચ્છા પૂરી કરવાની છે. તેમની અસ્મિતાનો સવાલ છે. 18 એપ્રિલે અમિત શાહની રેલી છે. કોઈ કાળો ઝંડો ન હોવો જોઈએ. શાંત રહો. તમારુ કામ થઈ જશે. તમારા વિસ્તારમાંથી અમિત શાહ માટે મત નહીં નિકળે તો તમારા વિસ્તારમાં કોઈ કામ થશે નહીં. સમજી લો !’ [4] આ બેઠકમાં બેંકો, દૂધ સહકારી મંડળીઓ, APMC, ખરીદ વેચાણ સંઘો વગેરેને બોલાવવામાં આવ્યા હતા. એવી ધમકી આપવામાં આવી હતી કે ‘18મી એપ્રિલના રોજ અમિત શાહના રોડ શોમાં વિદ્યાર્થીઓને જોડવાના છે, જો વિદ્યાર્થીઓ રોડ શોમાં ન જાય તો તેઓ આંતરિક પરીક્ષામાં નાપાસ થશે !’ [5] અસામાજિક તત્વોને પણ બોલાવીને મતદાનમાં વિક્ષેપ પાડવા સૂચના આપવામાં આવી છે ! [6] એવી ધમકી આપી છે કે ‘ચૂંટણીના દિવસે અને બપોરે કોઈ રિક્ષા ઉપલબ્ધ ન હોવી જોઈએ ! 2019ની ચૂંટણીમાં જુહાપુરા અને અન્ય મુસ્લિમ વિસ્તારોમાં વિપક્ષને મતો મળ્યા હતા, તે આ વખતે મળવા ન જોઈએ.’ [7] મતવિસ્તારમાં સેંકડો જગ્યાએ રામમંદિર સાથેના હોર્ડિંગ્સ લાગ્યા છે. તેમાં લખેલ છે કે ‘ફિર એક બાર મોદી સરકાર ! 500 વર્ષ બાદ ભવ્ય રામ મંદિર ! કમલનું બટન દબાવો, ભાજપને જીતાડો !’ આ આદર્શ આચાર સંહિતાનો ભંગ છે. ચૂંટણીપંચ મૂક પ્રેક્ષક બની શકે નહીં. ધર્મ અને ધાર્મિકતાનો ઉપયોગ કરીને મત માંગે તેને રોકવા ચૂંટણીપંચે પગલાં લીધાં નથી. કોંગ્રેસના કાર્યકરોને બેનરો ન લગાડવાની ધમકી આપવામાં આવી રહી છે. કોંગ્રેસના બેનરો અનેક જગ્યાએથી દૂર કરવામાં આવ્યા છે.આ તદ્દન નિંદનીય અને અસ્વીકાર્ય છે. રાજ્યનું તંત્ર કોઈ પગલાં લેતું નથી. [8] ટૂંકમાં, સ્થાનિક ગુંડાઓનો ઉપયોગ મતદારો અને સક્રિય નેતાઓને ડરાવવા માટે કરવામાં આવી રહ્યો છે. ગાંધીનગર લોકસભામાં વધારાના દળો તૈનાત કરવામાં આવે જેથી 2019 જેવી સ્થિતિ ન થાય અને લોકો શાંતિથી મત આપી શકે. રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સહિત તંત્ર સત્તાપક્ષનો પ્રચાર કરી રહ્યું છે. શું ઉમેદવાર અમિત શાહ કાયદાથી ઉપર છે? ભાજપના ઉમેદવારને બેનરો પર ધાર્મિક પ્રતીકોનો ઉપયોગ કરવાની અને તેના નામે મત માંગવાની મંજૂરી આપેલ છે? ભય, ધમકીઓ વચ્ચે ચૂંટણી નિષ્પક્ષ થાય? આ બાબતે તાત્કાલિક તપાસ કરવા/ તાત્કાલિક પગલાં લેવા હું વિનંતી કરું છું.”
સત્તાપક્ષની ચૂંચણી જીતવાની મોડસ ઓપરેન્ડી : [1] ચાપલૂસ પોલીસ અધિકારીનો ઉપયોગ. [2] વિપક્ષનો પ્રચાર કરે તેને ધમકાવવા. ખોટા કેસ કરવા. તડિપાર કરવા/ પાસામાં જેલમાં પૂરવાની ધમકી આપવી. [3] સત્તાપક્ષથી દલિતો/ મુસ્લિમો નારાજ છે તેથી દલિત/ મુસ્લિમ સમુદાયના મતો વિપક્ષને ન મળે તે માટે દલિત/ મુસ્લિમોને અપક્ષ તરીકે ચૂંટણી લડવા દબાણ કરવું/ કાળાનાણાથી તૈયાર કરવા. [4] વિપક્ષના ટેકેદારોને નિષ્ક્રિય થઈ જવા ધાકધમકીનો ઉપયોગ.[5] તમારા વિસ્તારમાંથી મત નહીં નિકળે તો તમારા વિસ્તારમાં કોઈ કામ થશે નહીં, એવો જર બતાવવો. [6] સત્તાપક્ષની લોકપ્રિયતાનો દેખાડો કરવા ભાડાની ભીડ એકત્ર કરવી/ વિદ્યાર્થીઓને રેલી/ સભામાં હાજર રહેવા ફરજ પાડવી. [7] જે વિસ્તારમાંથી વિપક્ષને મત મળે તેમ હોય તે વિસ્તારોમાં મતદાનના દિવસે અસામાજિક તત્વો દ્વારા તોફાન કરાવવું/ વિક્ષેપ ઊભો કરાવવો. તે માટે પોલીસ આંખમીંચામણા કરે તેનું આયોજન કરવું. [8] ધર્મ અને ધાર્મિકતાનો ઉપયોગ કરીને મતો માંગવા. પોસ્ટર/બેનરમાં મંદિરના નામે મતો માંગવા. [9] વિપક્ષના બેનરો ન લાગે અને લાગે તો દૂર કરાવવા.
જો દેશના ગૃહમંત્રી પોતાના વિસ્તારમાં કાયદાનો ઉલાળિયો કરતા હોય તો કોને ફરિયાદ કરવી? સવાલ એ છે કે શું ચૂંટણીપંચ આ પત્ર બાબતે તાત્કાલિક તપાસ કરાવશે? તાત્કાલિક પગલાં લેશે? અમિત શાહની સભામાં કોલેજના વિદ્યાર્થીઓને ફરજિયાત મોકલવામાં આવ્યા, તે અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છે ! ઈલેકશન ઓબ્ઝર્વરને પણ આ દેખાતું નહીં હોય? અગાઉ ફરજ બજાવી ગયા હોય તેવા પોલીસ અધિકારીને એ વિસ્તારમાં ફરી નિમણૂંક કરવી તે શું સૂચવે છે? માત્ર ગાંધીનગર લોકસભાની બેઠક માટે જ આવી સ્થિતિ છે, એવું નથી, આખા ગુજરાતમાં સરખી સ્થિતિ છે ! વિપક્ષ પાસે કોઈ તક રહેવા દીધી નથી ! સત્તાપક્ષને ઘી-કેળાં છે ! કલેક્ટર/ SP/ પોલીસ કમિશ્નર/ ઈલેકશન ઓબ્ઝર્વર/ ચૂંટણીપંચ સૌ સત્તાપક્ષની પાંખ હોય તે રીતે આંખ આડા કાન કરી રહ્યાં છે ! એક પણ ગુજરાતી મીડિયાએ આ પત્રની નોંધ લીધી નથી ! આ સ્થિતિમાં, ગુજરાત-લોકસભાની 26 બેઠકોમાંથી એક બેઠક જો વિપક્ષને મળે તો તેને મોટી ક્રાંતિ કહી શકાય !rs