મેટાની મેસેજિંગ એપ WhatsApp અને ભારત સરકાર વચ્ચે લાંબા સમયથી ઘર્ષણ ચાલી રહ્યું છે. હવે આ ઘર્ષણ છેલ્લા તબક્કામાં આવી ગયું છે. વોટ્સએપ આ વખતે આર-યા-પારના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. સરકાર દ્વારા વારંવાર કહેવામાં આવી રહ્યું છે કે વોટ્સએપે મેસેજનો સોર્સ જાહેર કરવો પડશે, એટલે કે પહેલીવાર મેસેજ ક્યારે અને ક્યાંથી મોકલવામાં આવ્યો તેની માહિતી આપવી પડશે. આ મુદ્દે WhatsAppનું કહેવું છે કે આ માટે એન્ક્રિપ્શનને તોડવું પડશે અને આ WhatsAppની પ્રાઈવસી પોલિસીની વિરુદ્ધની છે.
વોટ્સએપે દિલ્હી હાઈકોર્ટમાં કહ્યું છે કે, લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે કારણ કે તે એન્ક્રિપ્ટેડ છે, અને લોકોને તેની પર પ્રાઈવસી પર વિશ્વાસ છે. વોટ્સએપ વપરાશકર્તાઓ જાણે છે કે, વોટ્સએપ પર મોકલવામાં આવતા સંદેશાઓ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ હોય છે. આવી સ્થિતિમાં તેમના મેસેજને ક્યારેય કોઈ વાંચી શકશે નહીં, પરંતુ એન્ક્રિપ્શન તોડ્યા પછી તેની પ્રાઈવસી ખતમ થઈ જશે. જો ભારત સરકાર અમને એન્ક્રિપ્શન તોડવા દબાણ કરશે તો મજબૂરીથી અમારે દેશ છોડવો પડશે.
રિપોર્ટ પ્રમાણે વોટ્સએપ વતી દિલ્હી હાઈકોર્ટના વકીલ તેજસ કારિયાએ કાર્યવાહક ચીફ જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ મનમીત પ્રીતમ સિંહ અરોરાની બેંચને કહ્યું કે, એક પ્લેટફોર્મ તરીકે અમે કહી રહ્યા છીએ કે, જો આપણે એન્ક્રિપ્શન તોડવું હોય તો. અમે ભારતદેશ છોડીને જતાં રહેશું.
વોટ્સએપે કહ્યું કે, જો ખરેખર આવું કરવામાં આવે તો અમારે મેસેજોની એક આખી ચેન તૈયાર કરવી પડશે, કારણ કે અમને ખબર નથી કે કયા મેસેજને ક્યારે ડિક્રિપ્ટ કરવાનું કહેવામાં આવશે. આ માટે કરોડો- અબજો મેસેજ વર્ષો સુધી સાચવવા પડશે.
કેન્દ્ર સરકારે 25 ફેબ્રુઆરી, 2021ના રોજ ‘ઇન્ફોર્મેશન ટેક્નોલોજી’ નિયમોની જાહેરાત કરી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું, કે જો દરેક સોશિયલ મીડિયા કંપનીઓએ આઈટી નિયમોનું પાલન કરવાનું રહેશે. આ સિવાય જો કોઈ મેસેજને લઈને ફરિયાદ કરવામાં આવે તો કંપનીએ જણાવવું પડશે કે તે મેસેજ પહેલીવાર ક્યારે અને ક્યાંથી મોકલવામાં આવ્યો હતો.