તા.૬.એપ્રિલ
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
હાલોલ નગર સહિત પંથકમાં હનુમાન જયંતી પર્વની ઉજવણી ભક્તિસભર વાતાવરણમાં કરવામાં આવી હતી.ચૈત્ર સુદ પૂનમ એટલે ભગવાન શ્રી રામના પરમ ભક્ત એવા હનુમાનજીના જન્મદિવસ આ શુભદિને પ્રતિવર્ષે હનુમાન જયંતિ પર્વની ઉજવણી સમગ્ર ભારત દેશમાં કરવામાં આવે છે.જેને લઇ હાલોલ નગરના કંજરીરોડ ખાતે ભીડભજન હનુમાનજી મંદિરે તેમજ બીલીયાપુરા ખાતે આવેલ બાલાભોલા હનુમાનજી મંદિર સહિત પંથકમાં આવેલા તમામ હનુમાનજીના મંદિર ખાતે વહેલી સવારથી જ હનુમાન ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.નગરના કજરી રોડ ઉપર આવેલ ભીડભજન હનુમાન મંદિર ખાતે મહંત શ્રી રામ શરણદાસની પ્રેરણાથી સવારે 9:00 કલાકે 40 મો અખંડ રામાયણનો પાઠ સંપન્ન થયો હતો.ત્યારબાદ 9:30 કલાકે શ્રી મારુતિ યજ્ઞનો વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિવત રીતે યજ્ઞનો આરંભ થયો હતો.જ્યારે સાંજે પાંચ કલાકે હવનમાં શ્રીફળ હોમી આ મારુતિ યજ્ઞનું સમાપન કરવામાં આવ્યું હતુ.અને મહાઆરતી કર્યા બાદ રામાયણ યુવક મંડળ દ્વારા મહાપ્રસાદી ભંડારો યોજાયો હતો.જ્યારે બીલીયાપુરા ખાતે આવેલ શ્રી બાલાભોલા હનુમાનજી મંદિર દ્વારા આયોજિત હનુમાન જયંતિ ઉજવણીને અનુલક્ષીને 11 કુંડી મારૂતી યજ્ઞનો પ્રારંભ સવારે 9:00 કલાકે કરવામાં આવ્યો હતો ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર સાંજના સુમારે શ્રીફળ હોમી યજ્ઞનું સમાપન કરવામાં આવ્યું હતુ અને ત્યારબાદ ભંડારો યોજાયો હતો.જેમાં મોટી સંખ્યામાં હનુમાન ભક્તો આ ભન્ડારા નો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.