સમલૈંગિક લગ્નની યાચિકા અંગે ચુકાદો આવે તે પહેલા કેંદ્ર સરકારે વધુ એક એફિડેવિટ દાખલ કરી છે. કેન્દ્ર સરકારે CJI ડી વાય ચન્દ્રચૂડની અધ્યક્ષતાવાળી બંધારણીય બેન્ચને તમામ અરજીઓ ફગાવી દેવા જણાવ્યું હતું.
કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, સમલૈંગિક લગ્ન એ શહેરી ભદ્ર વિચાર છે. જે દેશના સામાજિક સિદ્ધાંતોથી ઘણું દૂર છે. સમલૈંગિક લગ્નએ નવી સામાજિક સંસ્થા બનાવવા સમાન છે.
કેન્દ્રએ કહ્યું, ” માત્ર સંસદ જ આ અંગે કાયદો બનાવી શકે છે. અદાલત નહીં, સંસદ તમામ ગ્રામીણ, અર્ધ-ગ્રામીણ અને શહેરી વસ્તીના વ્યાપક મંતવ્યો, વિચારો, ધાર્મિક સંપ્રદાયોના મંતવ્યો અને વ્યક્તિગત કાયદાઓ તેમજ આ વિસ્તારને સંચાલિત કરતા લગ્ન સંબંધિત રિવાજોને ધ્યાનમાં રાખી કાયદો બનાવે છે.
વધુમાં કેન્દ્રએ જણાવ્યું હતું કે અરજદાર, સમલૈંગિક લગ્નના અધિકારોની માંગ કરીને, “માત્ર શહેરી ભદ્ર વિચારોને પ્રોત્સાહન” આપી રહ્યા છે. જેને સમાજે સ્વીકૃતિ આપી નથી.
સરકાર વતી, એવું કહેવામાં આવ્યું હતું કે લગ્ન એ એક સંસ્થા છે જેને બનાવી શકાય છે, માન્યતા આપી શકાય છે, કાનૂની પવિત્રતા આપી શકાય છે અને તે માત્ર સક્ષમ કાયદા દ્વારા જ ઘડી શકાય છે. સમલૈંગિક લગ્નની અરજી પર વિચાર કરવાની સુપ્રીમ કોર્ટની ક્ષમતા પર કેન્દ્ર એ પ્રશ્ન ઉઠાવ્યો છે. કેન્દ્રએ કહ્યું કે તે એક નવી સામાજિક સંસ્થા બનાવવા સમાન છે.